ગાંધીધામમાં ગાંધીમાર્કેટની બદહાલ પરિસ્થિતિ

‌‌ ગાંધીધામ નગરપાલિકાએ નીંભરતાની સીમા ખેંચી રહી હોય તેમ “જોઇશુ.. કરીશુ..”ની નીતિના કારણે શહેરના અનેક પ્રશ્નો વિકરાળ સ્વરુપ ધારણ કરી ગયા છે. નગરપાલિકા નિર્મીત શહેર મધ્યે આવેલી ગાંધીમાર્કેટની સ્થિતિ બદહાલ થઈ રહી હોવાની અને પોપડા પડવાની ફરિયાદો છેલ્લા પાંચ વર્ષથી કરાઈ રહી છે, પરંતુ જાણે કોઇ એક સુત્રતા વિના કામ કરાઈ રહ્યુ હોય તેમ પાલિકા દ્વારા તેને ખાસ લક્ષ્યમાં લેવાઈ રહ્યું નથી. માત્ર ગાંધીમાર્કેટ નહિ, પાલિકાની પાછળ આવેલી અન્ય ખાનગી ઈમારતોની સ્થિતિ એટલી ખરાબ થઈ ચુકી છે કે તે કોઇ પણ ક્ષણે દુર્ઘટના સર્જી શકે છે.

      બે વર્ષ પહેલા થયેલા સર્વમાં પણ બીજો માળ આખો તોડવો પડે તેમ હોવાનું સાબીત થઈ ચુક્યું છે. કેટલાક દિવસોથી ઓફિસ બંધ રાખ્યા બાદ ગાંધીમાર્કેટમા રવિવારે બપોરે જ્યારે ઓફિસ ખોલાઈ તો સ્ટાફ દ્રશ્ય જોઇને ભયભીત થઈ ગયો હતો, કારણ કે આખી ઓફિસની છત પોપડાના સ્વરુપે આખી ઓફિસમાં પડી ગયેલી હતી અને છત પર સળીયા દેખાતા હતા. આ થયું ત્યારે જો સ્ટાફ ઓફિસમાં હાજર હોત તો શું થઈ શકત તેનો અંદાજો આવી શકે છે. આ માત્ર એક ઘટના છે, આવી બે ડઝનથી વધુ ઘટનાઓ ગાંધીમાર્કેટમાં થઈ ચુકી છે. હવે અહી આવતા દરેક વ્યક્તિ માત્ર નીચે નહિ, પણ ઉપર જોઇને પણ ચાલે છે.

       અહી દુકાન કે ઓફિસ ધરાવતા ગુલાબભાઈ, અમીતભાઈ, ભાવિનભાઈ, પુરુષોતમભાઈ સહિતનાએ જણાવ્યું કે ગાંધીમાર્કેટ આખાની સ્થિતિ બદહાલ થઈ ચુકી છે. આની જાળવણીની જવાબદારી પાલિકાની છે, તે પોતાની ઈમારતોની માવજતનથી કરી રહ્યું, તો શહેરની બાકીની પરિસ્થિતિઓનું હેંડલીંગ કેવું ચાલતું હશે તેનો અંદાજો લગાવી શકાય છે. આ અંગે સ્થાનિકે બનેલા સંગઠન દ્વારા અનેક વાર પાલિકામાં તો પી.એમ.ઓ સુધી પણ રજુઆતો થઈ ચુકી છે.

        આ અંગે નગરપાલિકાના હંગામી એન્જિનીયર કુશવાહાને પુછતા તેમણે જણાવ્યું કે અગાઉ આ ઈમારતનો સર્વે કરાયો હતો, જેમાં બીજો માળ આખો અને પહેળા માળમાં આંશીક ભાગ તોડીને રીનોવેટ કરવાની આવશ્યકતા હોવાનું સામે આવ્યું હતું. પછી કોરોના કાળ આવ્યો અને આ અંગે અધિકારી દ્વારા નોટિસ પાઠવીને ખાલી કરવા પણ જણાવાયું હતું, જેથી કામ થઈ શકે, પરંતુ તેવું ન થતા અટકેલું હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ