બોટાદ જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે

 આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નું આયોજન થવા જઈ રહ્યું છે. તા.૫ થી તા.૧૯ જુલાઇ દરમિયાન યોજાનાર "વંદે ગુજરાત વિકાસ યાત્રા" માં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, મંજૂર થયેલા નવા ખાતમૂર્હતના કામો, જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથાઓ સહિતના લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. 

       સમગ્ર ગુજરાતની સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ  દરમિયાન બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે.  બોટાદ જિલ્લા પંચાયતની ૨૦ સીટ પર ૧૮૨ ગામોમાં અને જિલ્લાની ૦૩ નગરપાલીકાઓમાં ખાતમુર્હર્તના-૩૧૫ અને લોકાર્પણના-૩૭૬ સહિત કુલ-૬૯૧ કામો અંદાજે રૂ.૧૬૫૩.૦૯ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોની નાગરિકોને ભેટ મળશે. આ યાત્રા દરમિયાન જિલ્લામાં એક રથ આવશે અને તેના નિર્ધારીત રૂટ પ્રમાણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે. 

     અત્રે નોંધનીય છે કે, દરેક ગામમાં જ્યાં રથનું પ્રસ્થાન થવાનું છે ત્યાં સવારે પ્રભાત ફેરી,સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમ ઉપરાંત પાણીનો યોગ્ય ઉપયોગ અને પાણી બચાવવા અંગેની સમજ-પશુ સારવાર કેમ્પ, આંગણવાડીઓમાં પૂરક આહાર, વાનગી નિર્દેશન સહિતના કાર્યક્રમો પણ થશે.આમ આ વિકાસ યાત્રા જનસેવા ની યાત્રા બની રહેશે.

      તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન યોજાનારી "વંદે ગુજરાત વિકાસ યાત્રા" માં જિલ્લા-તાલુકાકક્ષાએ લાયઝન નોડલ અધિકારીઓની નીમણુંક કરવા સાથે અધિકારીઓને કામગીરીની સોંપણી, યાત્રાનો રૂટ નક્કિ કરવા સાથે  યાત્રા અંગે જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડવામાં આવ્યું છે