વંગમાં કરીયાવર મુદ્દે અવાર- નવાર મારકુટ કરાતાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું


નખત્રાણા તાલુકાના વંગ ગામે પરણેલી બે પુત્ર અને ત્રણ પુત્રીની માતાના આપઘાત કરી લેવાના કેસમાં દિકરીને કરીયાવર માટે મેણા-ટોણાં મારી માનસિક તથા શારિરક ત્રાસ આપતા પતિ, જેઠ, દઇયર વિરુધ્ધ મૃતક મહિલાના પિતાએ નિરોણા પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
મુળ વંગ ગામના હાલમાં ઘાણેટી ગામમા રહેતા વીરમ રામાભાઇ આહિરએ જમાઇ ભગા તેજા આહિર, જેઠ ભામુ તેજા આહિર અને દિયર ધનજી તેજા આહિર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દિકરી કુંવરબેનના 19 વર્ષ પહેલા ભગા આહિર નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા.
લગ્ન દરમિયાન બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. દિકરીને તેના પતિ, જેઠ, દિયર દ્વારા કરીયાવર નથી લાવી એવું કહી અવાર-નવાર મારકૂટ કરી માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા તેથી કંટાળીને ફરિયાદીની દિકરી કુંવરબેને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધો.