વરસાણા સબસેન્ટરમાં આરોગ્ય કર્મી દ્વારા કરવામાં આવ્યો આપઘાતનો પ્રયાસ


અંજાર તાલુકાના ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના વરસાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીએ શુક્રવારે સબ સેન્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે ચકચાર થઈ હતી.આ બનાવની જાણ જિલ્લાના કર્મચારીઓને થતાં ચર્ચાનો વિષય બન્યો. આંતરજિલ્લામાં ફેરબદલી ન થવાથી કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, વરસાણા સબ સેન્ટર મધ્યે ફરજ બજાવતા આ કર્મચારીએ બપોરના સમયે સબ સેન્ટરમાં દરવાજો બંધ કરી પંખે લટકી ગળે ફાસો ખાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેની જાણ મિત્રો તથા અન્ય કર્મચારીઓને થતા તાત્કાલિક દરવાજો તોડી યુવાનને આ પગલું ભરાતા બચાવી લેવામાં આવ્યો અને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જઈ ત્યારબાદ ઘરે ખસેડવામાં આવ્યો હતો. મલ્ટી પર્પઝ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા શુભમ નામના કર્મચારીએ પોતાની આંતરજિલ્લા ફેર બદલી માટે રજૂઆત કરવામાં આવી હતી.
તેની ફાઈલ જિલ્લા પંચાયત દ્વારા ગાંધીનગર મોકલવામાં ન આવતા આ વાતનું મનમાં લાગી આવતા આ પ્રયાસ કર્યો તેવું આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયાએ જણાવ્યું હતું.આ મુદ્દે જિલ્લા પંચાયત,પોલીસવડા સહિતની કચેરીઓમાં રજુઆત કરવામાં આવી.આ બાબતે અંજારના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીએ આજે કર્મચારીને બ્લોક ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.
સમગ્ર બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માનું ધ્યાન દોરાતા તેમણે તાત્કાલિક તપાસ કરવાની ખાતરી આપી.ડીડીઓએ જણાવ્યું કે,ભીમાસર પીએચસી હસ્તકના વરસાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.કર્મચારીએ જણાવ્યું છે કે,આંતરજિલ્લા ફેરબદલી ન થવાથી તેણે આ પ્રયાસ કર્યો હતો. જેથી સવારે 10 : 30 કલાકે રૂબરૂ મુલાકાત માટે તેમને બોલાવાયા. તે દરમ્યાન કર્મચારી મંડળ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે,આંતરજિલ્લા ફેરબદલી કરવામાં આવતી નથી. આ બાબતે તેમણે કહ્યું કે,સામાન્ય રીતે 5 વર્ષ પૂરા થાય બાદ બદલીની ફાઇલ મોકલાતી હોય છે પણ કચ્છમાં સ્ટાફની અછત હોવાથી ફાઇલ મોકલવામાં આવતી નથી.વરસાણાના કિસ્સામાં કર્મચારીના 5 વર્ષ હજૂ પૂર્ણ જ થયા છે, તેની અરજી વિશે પણ વિમર્શ કરવામાં આવશે.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન સહિતના વિવિધ કર્મચારીઓ આજે એક દિવસની માટેની સીએલ રજા પાડશે તેવું કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જણાવામાં આવ્યું છે તેમજ આંતર જિલ્લા ફેરબદલીની ફાઈલ ગાંધીનગર મોકલવામાં આવે,પગારની અનિયમિતતા દૂર કરવી, ટી.એ. બિલ મંજૂર કરવા સહિતના પ્રશ્નો અંગે આજે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવામાં આવશે.
આરોગ્ય કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા દરેક જિલ્લામાં 8 તારીખથી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કરાયુ છે.જેમાં કચ્છના કર્મચારીઓ પણ સામેલ થસે.
આ સમગ્ર બાબતે સીડીએચઓ ડો.જનક માઢકનો સંપર્ક કરતાં તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું કહ્યું હતું.જિલ્લા આરોગ્ય વિભાગના વડાને આરોગ્ય કર્મચારી આપઘાતનો પ્રયાસ કરે એ વાતની જાણ ન હોય એ વાત ને ગળે ઉતારવી મુશ્કેલ છે