કચરો વીણતી મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા


ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતી ઉત્તરપ્રદેશની વિધવા મહિલાને પ્રેમ સબંધ રાખવા દબાણ કરી મારકૂટ કરતા શખ્સે ઉશ્કેરાઈને છરીના ઘા પેટ અને છાતીના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ માળિયા મિયાણાની હાલે અંજાર રહેતા અને ગળપાદર પાસે જીઆઇડીસીમાં કચરો વીણવાનું કામ કરતા શકીનાબેન રમજાનભાઇ વીરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુળ ઉત્તરપ્રદેશની હાલે ભારતનગરમાં રહેતી 31 વર્ષીય રીમાદેવી જયનાથ નિશાદ પણ તેમની સાથે કચરો વીણવા આવતી હતી.
તેના લગ્ન 11 વર્ષ પહેલાં થયા હતા, તેના પતિનું અવસાન થઇ ગયું છે. બન્ને રોજ આખો દિવસ કચરો વિણવામાં સાથે હોતાં બહેનપણી હતી. રીમાદેવીએ તેમને અગાઉ વાત પણ કરેલી કે અંજારના એકતાનગરમાં રહેતો મિતુલ ઉર્ફે મલો વિષ્ણુભાઇ પટેલ તેમને પ્રેમ સબંધ રાખવા અને લગ્ન કરવા માટે દબાણ મૂકે ચ્હે, જો કે તે ના પાડે છે તો મારકૂટ કરી હેરાન કરે છે. તેઓ બન્ને કામ કરતા હોય ત્યારે પણ આ મિતુલે આવીને દબાણ કર્યા બાદ રીમાદેવી ના કરે તો મારકૂટ કરતો હતો.
આજે તેઓ રીમાદેવી સાથે કચરો વીણી રહ્યા ત્યારે મિતુલ એક અજાણ્યા સખ્શ સાથે બાઇક પર આવ્યો અને રીમાદેવીને પ્રેમ સબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો રીમાદેવીએ ઇન્કાર કરતાં તેણે ઝઘડો શરૂ કર્યો હતો જેમાં રીમાદેવીએ મિતુલને ગાળો આપતાં અજાણ્યા સખ્શે આ મહિલા તને ગાળો આપે છે તારી પાસે છરી છે એ આપ મારી નાખવી છે કહી ઉશ્કેર્યો હતો.
ઉશ્કેરાઇને મિતુલે છરી કાઢી અજાણ્યા સખ્શને બાઇક ચાલુ રાખવાનું કહી રીમાદેવીને છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી. ફરિયાદી શકીનાબેનને જો તે આ વાત કોઇને કરી છે તો તને પણ જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા તેનો પીછો કર્યો હતો. તેમણે ઓળખીતાના વાડામાં જઇ જુસબ ઉર્ફે મામાને આખી વાત કરી. જુસબ આવી જતાં બંને નાસી ગયા હતા. પોલીસ દ્વારા બે વિરુદ્ધ ગુનો દર્જ કરાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પીઆઇ એમ.એન.દવે ચલાવી રહ્યા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ મૃતક મહિલા ભારતનગરમાં પોતાના બાળકો સાથે રહે છે. આ ઘટનાથી આ બાળકોએ માતાની વિહોણા થઈ ગયા છે