અંજારમાં ઘરનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 2.16 લાખની કરાઇ ચોરી


અંજાર તાલુકાના મેઘપર-કુંભારડીમાં આવેલ સોસાયટીના રહેણાંક મકાનનું તાળું તોડી કબાટમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 2.16 લાખની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે.
મેઘપર-કુંભારડીની રચના પાર્કના મકાન નંબર 64માં રહેતા વિશાલકુમાર દિનેશ પરમારે આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસ દ્વારા માહિતી આપતા જણાવાયું છે કે, ફરિયાદીના ફુઆ કેશવલાલનું અવસાન થતાં વિશાલકુમારના માતા-પિતા પાટણ ગયા હતા. વિશાલકુમાર માતા-પિતા ગાંધીધામ રહે છે,તે પાટણ જતાં તેમના દાદી એકલા થઈ જતાં વિશાલકુમાર પોતાના પરિવાર સાથે થોડાક દિવસ ગાંધીધામ રહેવા માટે આવવ્યા હતા.
વિશાલકુમારના પિતા પાટણથી પરત આવતાં વિશાલકુમાર પોતાના ઘરે ગયા હતા. તેમનાં આંગણાના દરવાજાને તાળું હતું, પરંતુ અંદરના મુખ્ય દરવાજાનાં તાળાં તૂટેલાં જોવા મળ્યા હતાં. તેમણે કબાટની ચાવી ઘરમાં જ મૂકી હતી, જે શોધી તસ્કરોએ કબાટ ખોલી ચોરી કરી હતી. ઘરમાંથી રોકડ રૂપિયા 35,000 અને સોનાનું મંગળસૂત્ર, ચાંદીનું મંગળસૂત્ર, સોનાની બે વીંટી, પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર નંગ-બે, સોનાની બૂટી, દીકરીના ચાંદીના હાથના કડા નંગ-બે, પગની પાયલ નંગ-2 વગેરે મળી કુલ રૂપિયા 2,16,368ની ચોરી કરાઇ હતી. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.