દુબઇથી યમન જતા સલાયાના જહાજમાં મધ દરિયે આગ લાગી

દુબઇથી યમન જવા નીકળેલ માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ પાસે મધ દરિયે આગ લાગી ગઈ હતી. જોત-જોતા આખું જહાજ સળગી ગયું  પણ તેમાં સવાર 15 ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી ગયા હતા જેમની વહારે આવેલા એક કાર્ગો ભરેલા શીપ દ્વારા તેમને બચાવી લેવાતા આ દુર્ઘટનામાં જાન હાનિ થતાં ટળી હતી.

આ અંગે મળતી વિગતો અનુસાર સાલેમામદ આદમ સમેજા અને તેના ભાઇ ઇબ્રાહિમ આમદ સમેજાની માલિકીનું અને 4 કરોડના ખર્ચે નિર્મિત થયેલું એમએનડી 2172 નંબર વાળું અલ આલમ જહાજ દુબઇથી એક હજાર ટન કાર્ગો ભરી યમન જવા માટે નીકળ્યું હતું.

ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યા દરમિયાન મચ્છીરા ટાપુ પાસે તેમાં ભીષણ આગ લાગી હતી. જહાજના કેપ્ટન નૌસાદ જુસબ સહિત તમામ ખલાસીઓએ સમય રહેતા સાવચેતી દર્શાવી દરિયામાં  કૂદી ગયા હતા.

તે વખતે પસાર થતા અન્ય એક કાર્ગો શીપ દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા હતા. તેમ વહાણવટી એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ સિદ્દિક થૈમે  તમામ ક્રૂ મેમ્બર સલાયાના હોવાનું જણાવ્યુ હતું. તમામ ખલાસીઓ મધ દરિયે હોવાટી  કયા બંદરે ઉતરશે તે જાણી ન સકાયું હતું.