પાંડેસરામાં સાવકી માં એ દોઢ વર્ષના માસૂમ દીકરાનું દીવાલ સાથે માથું અફાળ્યું, પિતાએ લાશ દાટી


પાંડેસરામાં દોઢ વર્ષના બાળકની લાશ મળી હતી. પોલીસે લાશનું પોસ્ટમોટમ કરાવતા હત્યાનો મામલો સામે આવ્યો. દોઢ વર્ષના બાળકની હત્યા તેની સાવકી માતાએ કરી હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું. પાંડેસરા પોલીસે સાવકી માતા મમતા અરુણ ભોલાને પકડી લાવી ધરપકડની તજવીજ શરૂ કરી છે. પાંડેસરા હરીઓમનગરમાં રહેતા અરૂણ ભોલાએ મમતા સાથે વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. અરૂણ અને મમતાને 8 વર્ષનો પુત્ર છે અને તે હાલમાં ઓરિસ્સા રહે છે. વર્ષ 2016માં અરૂણ ભોલા સગી સાળીને લઈ સુરત આવી ગયો હતો અને તેની પત્ની પુત્ર સાથે વતનમાં રહેતી હતી.
સુરતમાં સાળી સાથે રહી અરૂણને સાડા ત્રણ વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો થયો હતો. 3 મહિના પહેલા સાળીનું બિમારીને કારણે અવસાન થયું હતું. આથી અરૂણ બન્ને બાળકોને લઈ વિધિ કરવા વતન ગયો હતો. અરૂણ વતન ગયો ત્યારે પત્નીને બન્ને બાળકોને સાચવવા સાથે લઈ આવ્યો હતો. દોઢ વર્ષનો બાળક જમવાનું જમે કે તરત જ ટોઇલેટ કરતો હતો. આથી સાવકી માતાએ સફાઇ કરવી પડતી હતી. વારંવાર ટોઇલેટને કારણે સાવકી માતા બાળકની સારસંભાળ બરાબર રાખતી ન હતી. જેના કારણે પતિ સાથે ઝઘડો પણ થતો હતો. આખરે કંટાળીને રાત્રે સાવકી માતાએ દોઢ વર્ષના બાળકને દિવાલમાં માથું પછાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી બાળકને સુવડાવી દીધો હતો.
જયારે મહિલાનો પતિ આવ્યો ત્યારે તેણે બાળકને જગાવ્યો કેમકે તે ઉઠયો ન હતો. પત્નીએ પતિને કહ્યું બે-ત્રણ વાર ટોઇલેટ થયા હતા. આથી મે તેને સુવડાવી દીધો હતો. બાળકના મોત બાદ તેની દફનવિધિ કરવા માટે મહિલાનો પતિ અને ભત્રીજા નજીકમાં ખુલ્લા મેદાન પર ગયા હતા. બાળકને કપડા પહેરાવી ખાડો ખોદી મીઠું નાખી દફનવિધી કરી હતી. બાદમાં વરસાદને કારણે બાળકની લાશ બહાર આવી જતા સ્થાનીકોને કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.