ઘડી એક અલાયદી યોજના- પાલિકા ઢોરવાડો નહિ બનાવે, ટાગોર રોડ પર બેસતા પશુઓને માણસો રાખી માત્ર તગેડશે!


ગાંધીધામ આદિપુરમાં ચોમાસા સાથેજ રજળતા પશુઓ ખુબ વધી જતા લોકો ત્રાહિમામ. કેટલાક સ્થળોએ આખલાઓએ લોકોને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાના કિસ્સાઓ, તો ટાગોર રોડ સહિત તમામ માર્ગો પર પશુઓ બેસી જતા ટ્રાફિક સરદર્દ સમાન સમસ્યા બની. હવે આ તમામ વચ્ચે નગરપાલિકાએ ઢોરવાડાનો વિચાર રાખી મુકી ટાગોર રોડથી પશુઓને તગેડવાનો પ્લાન બનાવી કાઢ્યો છે.
રાજ્યભરમાં રખડતા પશુઓના કારણે લોકોઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં સીએમના કોન્વોયમાં આખલો ઘુસવાનો, તો નીતિન પટેલને ગાયે અડફેટે લેવાની ઘટના પણ બની હતી. ત્યારે સીએમ દ્વારા શહેરી વિકાસ વિભાગના સચિવને આ માટે ટકોર કરાઈ હતી. ત્યારબાદ વિભાગ દ્વારા તમામ નગરપાલિકાઓને ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવાની સુચના આપવામાં આવી હતી. હંગામી ઢોર વાડાઓ ઉભા કરવા, નજીકના પાંજરા પોળમાં મોકલવા જેવી સુચનાઓ દરેક પાલિકાને અપવામાં આવી હતી.
પણ ગાંધીધામ નગરપાલિકા રામલીલા મેદાનના અનુભવ પછી ફરી તે દિશામાં જવા જ ન માંગતી હોય, તેમ ઢોરવાડો પાલિકા પાસે જગ્યા જ ન હોવાથી શક્ય ન હોવાનું તર્ક આગળ ધરી અલાયદી યોજના ધરી છે. જેમાં 35 લોકોને 60 હજાર જેટલાના માસીક ખર્ચે કામ પર રાખી 5-5 ની ટીમ બનાવી મુંદ્રા સર્કલ થી ડીપીએ કચેરી સુધીના ટાગોર રોડમાં અલગ-અલગ જગ્યાએ ઉભી રાખી રોડ પર બેસતા કે રજળતા પશુઓને રોડથી ઉતારીને અંદર મોકલી દેવામાં આવશે. ચોમાસાનો મહતમ સમય ચાલ્યો ગયો છે, તો એકાદ મહિના માટે જ આ પ્રક્રિયા કરાય તેવી સંભાવના છે. પરંતુ શુ આ પ્રયત્નથી લોકોને મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ?