વિજતંત્રની કચેરી પર જ આકાશી વિજળી પડી

copy image

ગાંધીધામ આદિપુરમાં છેલ્લા બે દિવસમાં માત્ર અડધો કે એકાદ કલાક સર્જાતા વરસાદી માહોલથી આખી વ્યવસ્થા જાણે હચમચી હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. વિજતંત્રની કચેરી સહિત શહેરમાં પાંચેક જગ્યાએ આકાશી વિજળી પડ્યાનું સામે આવ્યું. શનિવાર પછી રવિવારના પણ ભારે પવન સાથે આવેલા વરસાદી ઝાપટાથી આખા શહેરમાં વિજળી ગુલ, માર્ગો પર પાણી અને ખાડાઓની સ્થિતિ ઉભી થઈ હતી. જનતા કોલોની, ભારતનગર સહિતના ઘણા વિસ્તારોમાં તો આખી રાત વિજળી ગુલ રહેતા લોકોની ઉંઘ હરામ થઈ હતી.

ગાંધીધામના ગાયત્રી મંદિર નજીક આવેલી પીજીવીસીએલની કચેરીના ટાવર પર વિજળીનો જોરદાર કડાકો થયાનું સ્થાનિકોએ અનુભવ્યું. તો આજ રીતે રમત ગમત સંકુલ, રોટરી સર્કલ નજીક આવેલા ખાનગી મોલ પાસે પણ આકાશી વિજળી પડ્યાનો પણ અનુભવ થયો હતો. પરિણામે વિજતંત્રનું ઉપલબ્ધ માળખુ ખોરવાયું હતું અને બે દિવસમાં જ આખા શહેર માટે વિજળી વેરણ સમાન બની હતી.