અંજારમાં તારાજી પછી વીજ કર્મીઓની ભજીયા પાર્ટીનો વીડિયો થયો વાયરલ: ત્યારબાદ મળ્યું લોકસમર્થન


શનિવારે સાંજે અંજારમાં જોરદાર પવન સાથે 3 ઈચ વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ જવા પામી હતી. 25થી વધુ વૃક્ષો અને 23થી વધુ વીજપોલ ધરાશાયી થઇ જતા અંજારમાં એક તબક્કે વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપટ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પણ અંજાર નગરપાલિકા અને વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામ કરાઇ શહેરમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો હતો. પરંતુ મોડી રાત સુધી નવા અંજાર વિસ્તારમાં લાઈટ આવી ન હોવાથી અને લાઈન ઓફિસમાં કોઈ જવાબ આપતો ન હોવાથી સ્થાનિકો વીજ કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં અમુક કર્મચારીઓ ભજીયા ખાતા હોવાથી “ભજીયા પાર્ટી” થતી હોવાની વાત સાથે વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ વિડીયો ઉતાર્યા બાદ તેને વિવિધ ગ્રુપોમાં વાયરલ પણ કર્યો જેને અનુસંધાને વીજ કચેરી પ્રત્યે લોકોનો રોષ ભભૂક્યો.
વીજ કર્મચારીઓ અને ઠેકેદારના માણસોએ ખુબ મહેનત કરી અને શહેરમાં ઝડપી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો છે તે વાત ધ્યાને આવતા શહેરીજનોએ પહેલા જેટલો વિરોધ કર્યો તેથી વધુ વીજ કર્મીઓનો સમર્થન કરતા પણ જોવા મળ્યા. તો બીજી તરફ વિપક્ષના સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ એક પોસ્ટ લખી હતી વીજ કર્મચારીઓએ સારી કામગીરી કરી હોવાથી તેમના જાહેરમાં વખાણ પણ કર્યા હતા.
આ વિશે સૌરાષ્ટ્ર-કચ્છ PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ આહિરે જણાવ્યું હતું કે, ભારે પવન સાથેના વરસાદમાં જે નુકસાની થઇ તે કામ કરવા માટે અઠવાડિયું લાગી જાય તેમ હતું પણ માનવતા અને ફરજ સમજી કોન્ટ્રાક્ટ પરના તમામ માણસો અને વીજ કચેરીના કર્મચારીઓ લોકો માટે દોડ્યા અને એક રાતમાં જ તમામ ધરાશાયી થયેલા પોલ ઉભા કરી દેવાયા હતા. સાંજથી સતત મહેનત કરી હોવા છતાં જમવાનું ન મળ્યું, લોજ પણ બંધ થઇ ગઈ હોવાથી ટીફીનની વ્યવસ્થા થઇ ન શકી. જેથી 4-5 સ્થળોએ અલગ અલગ વસ્તુઓની વ્યવસ્થા કરી કર્મચારીઓએ જાતે પોતાના હાથે મોડી રાત્રે ભજીયા બનાવ્યા હતા.