કચ્છમાં છ જગ્યાએ ચોરીને અંજામ આપતી વરસામેડીની ટોળકી પકડાઈ

ભુજ તાલુકાના કોટડા ચકાર, કેરા, દહિંસરા, ગઢશીશાના શેરડી, મુન્દ્રાના ટપ્પર, સહિતના વિસ્તારોમાં કેબીન, દુકાનોમાં તસ્કરીને અંજામ આપતી અંજારના વરસામેડી ગામની ગેંગને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડીને છ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

એલસીબીએ કોટડા ચકારમાં દુકાન કેબીનના તાળા તોડી રસકસ સહિતના મુદામાલની તસ્કરી કરી હતી. તેની તપાસ દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાના આધારે કારની શોધખોળ અદરાઈ હતી . જે કાર મુળ બિહારના હાલ અંજાર તાલુકાના વરસામેડી ગામમાં રહેતા કુંદનસિંઘ કુશુસિંઘ ઉર્ફે કુશેશ્વરસિંઘ રાજપુતના ઘર પાસે પડી હોવાની બાતમી મળતાં એલસીબીએ છાપો મારી કુંદનસિંઘને અને મુળ યુપીના હાલ વરસામેડી મધ્યે ભોલેનાથ સોસાયટીમાં રહેતા નિરજ મેડવા (ઉ.વ.33)ને પકડી પાડ્યા હતા. આરોપીઓએ મુંદરા, માંડવી અને ભુજ તાલુકાના છ ગામોમાં તસ્કરી કરી હોવાનું કબૂલ્યું હતું.

ચોરાઉ માલ વરસાણામાં આવેલી સીનુ રેસ્ટોરન્ટમાં વેચી દીધો હોવાની કબૂલાત કરી હતી. એલસીબીએ મુળ યુપીના હાલ વરસાણા ચોકડી રહેતા રેસ્ટોરન્ટના માલિક શિમ્મુ રામપ્રસાદ પાલ (ઉ.વ.22)ની પણ અટક કરી લીધી હતી. એલસીબીએ આરોપીઓના કબજામાંથી રોકડ રૂપિયા 49,160, બે મોબાઇલ કિંમત રૂપિયા 5,500 તેમજ બે લાખની કાર, અને રસકસની દુકાનમાંથી ચોરેલો 3,583 ઉપરાંત તસ્કરીમાં વપરાયેલ મુદામાલ કબજે કરીને આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સોંપીને આરોપીએ અંજાર તથા રાપર પોલીસના ચેઇન સ્નેચીંગના ગુનાની તપાસ માટે ગાંધીધામ પોલીસને જાણ કરાઇ છે.

પકડાયેલા આરોપી કુન્દનસિંઘ વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે 2006માં નોંધાયેલાં લૂટ વીથ હત્યાના ગુના સાથે મુંદરા, રાપર, અંજાર અને ગાંધીધામ પોલીસ મથકમાં તસ્કરી-ચીલઝડપ સહિત પાંચ ગુનાઓ નોંધાયા.પકડાયેલ ચોર રાત્રીના ભાગે કારથી નીકળીને હાઇવે રોડ પરના ગામોની દુકાનનો અને કેબીનોને નિશાન સાધી તસ્કરીને અંજામ આપતા હતા.