કચ્છની 6 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી 83 દાવેદારી નોંધાવાઇ


કચ્છમાં કોંગ્રેસે જિલ્લાની 6 વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા ઈચ્છુક કાર્યકરો પાસેથી દાવેદારી અરજી મંગાવામાં આવી હતી. રવિવાર અને સોમવાર સુધીના બે દિવસો દરમિયાન કુલ 83 કાર્યકરોએ પોતાનો દાવો રજુ કર્યા હોવાના અહેવાલ છે. કેટલાક આગેવાનો પ્રદેશ કક્ષાએ દાવેદારી રજુ કરે એવી ચર્ચા કરાઇ રહી છે, જેથી સાચા આંકડા 15મી સપ્ટેમ્બર પછી જ બહાર આવે એવી સંભાવના છે. ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
કોંગ્રેસ અને ભાજપ દ્વારા સીધી કે આડકતરી રીતે ચૂંટણી પ્રચાર ક્યારનો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં વધુ એક આમ આદમી પાર્ટીએ ધ્યાન ખેંચ્યું છે, જેથી એ પણ ચર્ચામાં આવી છે. જે દરમિયાન 10-10 ઉમેદવારોની ત્રણ યાદીઓ પણ બહાર પાડી છે જેમાં કચ્છ જિલ્લાની માંડવી વિધાનસભાના ઉમેદવાર પણ જાહેર કરી દેવાયા છે. જે બાદ પછી છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસે ઈચ્છુક દાવેદારો પાસેથી બાયોડેટા સહિતની માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દેવાયું છે, જેમાં કુલ 83 કાર્યકરોએ દાવો રજુ કર્યો.
જે અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજમાં 7, અંજારમાં 13, ગાંધીધામમાં 20, રાપરમાં 4, માંડવીમાં 19, અબડાસામાં 20 કાર્યકરોએ દાવો રજુ કર્યો. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દિપક ડાંગરે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે પ્રદેશ પ્રમુખ અને રાજ્યની કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં દાવેદારોના બાયોડેટા સહિતની અરજીઓ રજુ કરવામાં આવશે. જિલ્લા ઈનચાર્જ મહામંત્રી રામદેવસિંહ જાડેજાના સંકલનમાં જિલ્લા કોંગ્રેસ ભવન ભુજમાં રવિવાર અને સોમવાર એમ બે દિવસ સુધી કાર્યવાહી ચાલી હતી.