નૈરોબી જતી ફ્લાઈટની કેબિનમાં ટેકઓફ પહેલા બળવાની વાસ આવતાં ગ્રાઉન્ડેડ કરાઈ


અમદાવાદથી નૈરોબી જતી ફ્લાઇટમાં ટેકઑફ પહેલા જ પેસેન્જરોએ કેબિનમાં કંઈક બળવાની વાસ આવતી હોવાની ફરિયાદ કરી હતી. આમ પેસેન્જરોની સલામતીના માટે ફ્લાઈટ ગ્રાઉન્ડ કરી દેવાતા 127 પેસેન્જર રઝળી પડ્યા હતા. એર ઇન્ડિયાની અમદાવાદથી નૈરોબી (AI 1911) ફ્લાઈટ સવારે 8:45 કલાકે ટેકઑફ થવાની હતી.
આ ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી નૈરોબી માટે રવાના થતી ફ્લાઈટમાં દિલ્હીના ટ્રાન્ઝિટ 61 અને અમદાવાદના 66 એમ કુલ 127 પેસેન્જર હતા. તમામ ફ્લાઈટમાં બેસી ગયા બાદ કેબિનમાં કઈક બળતું હોવાની ફરિયાદ થતાં એરક્રાફ્ટ એન્જિનિયરની ટીમે ચેકિંગ કરતાં ફ્લાઈટ ઉડાન ભરી શકે તેમ ન હોવાનો રિપોર્ટ કર્યો હતો. એરલાઈને જણાવ્યું કે ફ્લાઈટમાં તમામ પેસેન્જરને હોટલ સ્ટે અપાયો હતો. રવિવારે સવારે 6:30 વાગ્યે આવેલા મુસાફરોને 24 કલાક બાદ નૈરોબી માટે રવાના થશે
કેબિનમાં બળવાની ગંધ આવતા મોટો ફોલ્ટ હોવાથી વાયરો ચેક કરવા માટે એન્જિનિયરોની ટીમે ફ્લાઈટને એરપોર્ટના હેંગરમાં ખસેડી હતી. હાલમાં વિમાનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરી દઈ સવાર મુસાફરોને હોટલ સ્ટે આપ્યા બાદ આ મુસાફરોને નૈરોબી પહોંચાડવા માટે સોમવારે દિલ્હીથી બીજી ફ્લાઈટ અમદાવાદ આવશે