અંકલેશ્વરમાં નેશનલ હાઇવે પર અકસ્માત: બે લોકોના મૃત્યુ, બે ઇજાગ્રસ્ત

નેશનલ હાઇવે નંબર 48 પર બે અલગ અલગ અકસ્માતમાં 2 અજાણ્યા સખ્શોના ના મોત થયા હતા, ધંતુરીયા પાટિયા નજીક બાઈક સવારને કાર ચાલકે અડફેટે લેતા 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અમરાવતી બ્રિજ નજીક તિરંગા હોટલ પાસે ગત રોજ મોડી સાંજે અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા  સખ્શને અડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પરેશભાઈ ઉર્ફે પલિયા એ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

બીજી ઘટના પણ નેશનલ હાઇવે નંબર 48 પર વિકાસ હોટલ અને આરામ હોટલ વચ્ચે બની હતી. જ્યાં એસ.ટી. બસ ચાલકે અજાણ્યા સખ્શને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

ત્રીજી ઘટના અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નવા ધંતુરીયા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બે લોકોને ઈજાઓ થઈ હતી. હાંસોટ તાલુકાના ખરચ ગામના ખુમાણ આહીર અને ઈશ્વર આહીર બાઈક લઇ માટીએડ મધ્યે ખુમાણ આહીર ની પુત્રી ની ખબર લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન નવા ધંતુરીયા પાસે માર્ગ ઓળંગતા હતા તે વેળા પુરપાટે ધસી આવેલા કારના ચાલકે તેમની બાઇકને ટક્કર લીધી હતી.