થરાદમાં ગાયોની સહાય બાબતે ઉપવાસ પર ઉતરેલા બંને ગૌભક્તોની તબિયત લથડી


થરાદ મધ્યે ગૌપોષણ યોજનાનો ત્વરિત અમલ કરવાની માંગણી સાથે અનશન પર બેઠેલા ગૌભક્તની બારમા દિવસે તબિયત લથડતાં છાવણીમાં સારવાર આપવામાં આવી હતી. સરકારે ગૌશાળાઓ-પાંજરાપોળોના ગૌવંશના નિભાવ માટે જાહેર કરેલી 500 કરોડ રૂ.ની ગૌપોષણ યોજના સહાયને છ મહિના વિતવા છતાં સહાયની રકમ ચુકવવામાં ન આવતાં થરાદ મધ્યે બે ગૌભક્તોએ પોષણ યોજના ત્વરિત અમલમાં લેવાય તેની માંગણી સાથે 7 સપ્ટેમ્બરથી ઉપવાસ પર બેઠા હતા. બારમા દિવસે તબિયત લથડતાં છાવણીમાં સારવાર કરવામાં આવી હતી.
જેમાં ગૌભક્તોને રવિવારે બારમો દિવસ થતાં રાણાભાઈ રાજપૂત અને રમેશભાઈ ગામોટને તાવ અને શરીરમાં દુ:ખાવો થતાં તેમને ડોક્ટર દ્વારા છાવણીમાં જ સારવાર અપાઈ હતી. શહેરના હાઇવે પર જાહેર રસ્તે પંડાલ બાંધી ગૌમાતાઓ માટે 12 દિવસથી ઉપવાસ પર ગૌભક્તો બેસી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં ન આવતાં ગૌપ્રેમીઓ સહિત ધર્મ પ્રેમી જનતાની લાગણી દુભાઈ.