થવા ગામ પાસેના બ્રિજના સળિયા દેખાવા માડ્યાં

copy image

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને નેત્રંગ વચ્ચે સ્ટેટ હાઇવે પર કરજણ નદી પરનો પુલ બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતનો ભય સર્જાઈ રહયો છે. નેશનલ હાઇવે ઓથોરીટી પણ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું હોય તેમ લાગી રહયું છે. જો આ પુલ બંધ થાય તો ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો વાહનવ્યવહાર સંપુર્ણપણે બંધ થઇ જશે કારણ કે આ સ્થળે વાહનોને ડાયવર્ઝન આપી શકાય તેવો કોઇ અવકાશ નથી. ડેડિયાપાડાથી નેત્રંગ તરફ જતાં સ્ટેટ હાઇવે ઉપર ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી ઉપરનો પુલ અત્યંત જર્જરીત હાલતમાં છે જેથી મોટી હોનારત થવાની સંભાવના છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના કડીરૂપ અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે. વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, સેલંબા સહિતના વિસ્તારોના લોકોને અંકલેશ્વર તરફ આવવા માટે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ સ્ટેટ હાઇવે પર રેતી સહિતની ખનીજ ભરેલાં ડમ્પરો તથા ગુજરાતમાંથી દક્ષિણ ભારત તરફ જતી ટ્રકોની અવરજવર વધી છે. આવા સંજોગોમાં થવા ગામની સીમમાંથી પસાર થતી કરજણ નદી ઉપરના પુલના ખસ્તાહાલ છે. પુલના સળિયા બહાર દેખાય રહયાં છે તેમજ રેલિંગ પણ તુટી ચુકી છે.

વરસાદી પાણીમાં ડામરનું ધોવાણ થતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. વાહન ચાલકો જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થવા મજબુર બન્યા છે. માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઇવે ઓથોરીટી કોઇ મોટી હોનારતની રાહ જોઇ રહયું હોય તેમ લાગી રહયું છે. વહેલીતકે બ્રિજના રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.