100% ગ્રાન્ટની માંગ પૂરી ન થાય તો 9800 સ્કૂલમાં તાળાબંધીની ચીમકી, આચાર્યો, ગ્રંથપાલની ભરતી પણ સ્કૂલ લેવલે કરવાની માંગ


ગ્રાન્ટેડ સ્કૂલોમાં પરિણામ આધારિત ગ્રાન્ટ કાપ નહીં, પરંતુ 100 % ગ્રાન્ટ, સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલની ખાલી જગ્યાઓ ભરવા સહિતની માગણીઓ સાથે સંચાલકોએ સ્કૂલોમાં તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું છે કે, સરકાર આગામી સમયમાં તેમની માંગણીઓ નહિ સ્વીકારે તો 9800 ગ્રાન્ટેડ સ્કૂલોની તાળાબંધી કરાશે, જેની અસર રાજ્યના 29 લાખ કરતાં વધુ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને થશે, પરંતુ આ પહેલાં સંચાલકો શિક્ષણમંત્રી સાથે એક મુલાકાત કરવા માંગે છે અને સરકારનું આ સમગ્ર મુદ્દે વલણ જાણવા માંગે છે.
ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકોએ સરકાર સામે હવે વિરોધ શરૂ કર્યો છે. હાલમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.10 અને 12ના પરિણામ આધારે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે, પરંતુ સંચાલકોની દલીલ છે કે, સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની નિમણૂક કરે છે, સ્કૂલનું પરિણામ વધારવાની જવાબદારી પણ શિક્ષકની હોવી જોઈએ. જે શિક્ષકનું પરિણામ ઓછું આવે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, નહીં કે સ્કૂલ સંચાલકની ગ્રાન્ટ પર કાપ મૂકવો જોઈએ. સરકારે આ મુદ્દે નીતિમાં પરિવર્તન લાવવું પડશે.