મેઘપર-કું.માં યુવક પર કરાયો હુમલો, આરોપી પોલીસકર્મીનું નામ ફરિયાદમાંથી ગાયબ થવાના આક્ષેપો

અંજાર તાલુકાના મેઘપર-કું.માં પોલીસ કર્મચારી દ્વારા સોસાયટીમાં ઉભવા મામલે યુવક પર હુમલો કરાયો હતો. જેમાં યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણવાજોગ નોંધમાં આરોપી પોલીસકર્મીનું નામ અને ધારિયાથી હુમલો કરાયાની નોંધ કરવામાં આવી હોવા છતાં FIRમાં પોલીસકર્મીનું નામ ગાયબ થઇ જતા અનેક સવાલો ઉઠ્યા છે.

આદિપુરમાં રહેતા 28 વર્ષીય જખુ શીવજીભાઇ મહેશ્વરીએ દાખલ કરાવેલી ફરિયાદને નજરે રાખીને મળતી માહિતી અનુસાર ફરિયાદી યુવક તેના મિત્ર કેયુરભાઈ ઠક્કરને તેમના ઘરેથી લઈ આદિપુર બસ સ્ટેશન મુકવા જવા માટે કેયુરના ઘર પાસે રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી પોલીસવાળાએ આવીને અહીં કેમ ઉભા છો તેમ કહી ઉશ્કેરાઈ જઈને ગાળો આપી પોતાની સફેદ કલરની આઈ -20 કાર માંથી ધારીયું કાઢી ફરિયાદી અને તેની સાથે ઉભેલા મિત્ર સચિન પટેલને મારવા જતા ફરિયાદીએ પોતાનો બચાવ કરી લીધો અને પડી જતા સામાન્ય ઈજા થઈ હતી.

જે ઘટના બાદ યુવકને સારવાર માટે ખસેડવામાં આવતા ત્યાં યુવકે જણાવ્યા મુજબ પોલીસકર્મી નાનજીભાઈ ચાવડાના નામજોગ અને તેમણે ધારિયાથી હુમલો કર્યો હોવાનું જણાવતા અંજાર પોલીસ મથકે નોંધ પણ કરવામાં આવી હતી, પરંતુ સાંજ પડતા જ જયારે ફરિયાદ દાખલ કરાઇ ત્યારે આરોપી પોલીસકર્મીનું નામ ગાયબ થઇ જતા પોલીસે નામ છુપાવ્યું હોવાના ઉપરાંત કલમો હળવી કરી નાખવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા.

આ બાબતે અંજાર પોલીસ મથકના પી.આઈ. એસ.ડી. સિસોદિયા જણાવ્યું હતું કે, ફરીયાદી યુવકે પહેલા હોસ્પિટલમાં જયારે જાણ કરી ત્યારે તે મુજબની જ જાણવાજોગ નોંધ દાખલ કરી છે. જે બાદ જયારે FIR નોંધી ત્યારે પણ જે પ્રકારે યુવકે લખવી તે રીતે જ લખઈ છે. જે ફરિયાદ યુવકે વાંચી અને એ પછી સહી પણ કરી છે.