ગૃહમાંથી કોંગ્રેસના 10 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

copy image

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજથી બે દિવસનું ટુંકું વિધાનસભાનું ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જો કે ચૂંટણી પછી બનનારી સરકારનું સત્ર મળશે. પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત રીતે ઘેરી લીધી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા અને નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો. વિરોધ કરનાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતાં. વિધાનસભામાં સત્ર શરૂ થયાં તે પૂર્વે જ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યાં. બીજી બાજુ ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરાયું હતું.

ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા,પૂના ગામિત,ચંદનજી ઠાકોર, નૌશાદ સોલંકીને સસ્પેન્ડ કરાયા હતા. શૈલેષ પરમારે કહ્યું હતું કે, આપનો આદેશ અમે માનીએ છીએ અને માનીશું. પરેશ ધાનાણી વેલમાં ન હતા પરંતુ તેઓ તેમની જગ્યા પર જ હતા. સરકાર જે પ્રસ્તાવ લાવી છે એ અમે માનીશું. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તમને શરમ આવવી જોઈએ.શૈલેષ પરમારે સામે જવાબ આપતાં કહ્યું કે, શરમ તમને આવવી જોઈએ. આટલા બધા કર્મચારીઓ આંદોલન કરે છે.જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આંદોલન કરી રહેલા કર્મચારીઓ કોંગ્રેસનો હાથો નહીં બને. કોંગ્રેસને મુદ્દાઓના ઉકેલમાં રસ નથી.

વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતા કહ્યુ કે,ગૃહની ગરિમા જાળવી, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો. સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. તમે લોકશાહીના નિયમ અનુસાર રજૂઆત કરી શકો છો. ગૃહની અંદર દેખાવો અને ઘરણા કરવા યોગ્ય નથી. કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર સવાલો કરતા જણાવ્યુ કે, લોકોના સવાલોની ચર્ચા કરવાથી ભાગે છે. રાજ્યના 15 લાખથી વધુ કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. તેમના સવાલોની ચર્ચા કરવાની કોંગ્રેસે માંગ કરી તો તેના માટે સમય નથી આપવો. ગુજરાતના ખેડૂતોના સવાલો તેમને સાંભળવા નથી.

વિપક્ષના નેતા સુખરામ રાઠવા બોલવા ઉભા થયા તેમણે અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા માટેની રજુઆત કરી હતી. પરંતુ સત્ર ચાલુ થાય તે પૂર્વે જ હોબાળો મચ્યો હતો. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા અને મેજ તરફ સરકારી કર્મચારીઓને ન્યાય આપોના નારાઓ લગાવ્યા હતાં.વિવિધ સવાલો અને માંગણીઓને લઈને વિરોધ કયો હતો. સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા.