અમદાવાદમા માલધારી સમાજ દ્વારા દૂધ હડતાલના પગલે અનોખો વિરોધ: ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં ના બેનર માર્યા


રાજ્યમાં માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે. જેને લઇ આજે માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને દૂધ હડતાલ કરાઈ છે. અમદાવાદમાં પણ હજારો માલધારીઓએ આજે દૂધનું વેચાણ નહીં કરીને વિરોધ કર્યો છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં ગાય સર્કલ પાસે માલધારીઓએ ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં આવવું નહીં તેવા બેનર લગાવીને અને આજે જે દૂધનો સ્ટોક વધ્યો છે તેની ખીર બનાવી લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવી.
માલધારીઓ દ્વારા આજે દૂધ હડતાલના પગલે અનેરું વિરોધ કરવામાં આવ્યો. શહેરના નવા વાડજ વિસ્તારમાં ગાય સર્કલ પાસે માલધારી સમાજના યુવાનો દ્વારા આજે જે દૂધનો સ્ટોક વધ્યો છે તેની ખીર બનાવાઇ હતી અને આ ખીરને લોકોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવી. માલધારી સમાજના યુવાનો દ્વારા બેનર મારવામાં આવ્યું અને બેનરમાં ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં. લી. વાડજ ગામ ભરવાડ વાસ તેમ લખવામાં આવ્યું.
માલધારીઓ દ્વારા જે ખીર પ્રસાદ રૂપે આપવામાં આવતી હતી તેને લેવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા. માલધારી સમાજના યુવક રોનક ભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા અમારા માલધારી સમાજ પર અત્યાચાર કરે છે તેના ભાગરૂપે સમાજના સંતો અને આગેવાનો જબ એક દિવસની અમે હડતાલ પાડી છે. જે દૂધનો સ્ટોક વધ્યો છે તેને દ્વારકાધીશ ના પ્રસાદ રૂપે ખીર બનાવી, લોકોમાં વહેંચણી કરવામાં આવી છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો આ પ્રસાદ લેવા માટે પહોંચ્યા છે.