ધાણેટી પાસે ફોરવ્હીલની અડફેટે આવી જતાં ભચાઉ મનફરાના પદયાત્રીનું મૃત્યુ

ભુજ-ભચાઉ રોડ પર મધ રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ માતાના દર્શને પગપાળા જઇ રહેલા મુળ બિહારના હાલ ભચાઉના મનફરા મધ્યે ટાઇલ્સ ફીટીંગનું કામ કરતા શ્રમજીવીને ધાણેટી પાસે અજાણી ફોરવ્હીલના ચાલકે પાછળથી અડફેટે લઈને ઉલાડતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચવાના કારણે સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

વાહન ચાલક સામે પધ્ધર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુળ બિહારના અને હાલ ભચાઉના મનફરા મધ્યે ગણેશનગરમાં રહેતા જીતેન્દ્રસિંગ રણવિરસિંગ તોમર (ઉ.વ.30) અને તેની સાથે અન્ય ત્રણ શ્રમજીવીઓ માતાનામઢ પગપાળા જતાં હતા ત્યારે ત્રણેય જણાઓ વચ્ચે એકાદ કિલો મીટરનું અંતર હતું તે દરમિયાન ધાણેટી-કનૈયાબે ગામ વચ્ચેના રોડ પર રાત્રીના ત્રણ વાગ્યાના આસપાસ પાછળથી પુર ઝડપે આવતા ફોરવ્હીલના ચાલકે જીતેન્દ્રસિંગને અડફેટે લેતાં રોડ પર ફંગોળાઇ ગયો હતો.

જેના કારણે માથાના ભાગમાં ગંભીર ઇજાઓ તેમજ હાથ પગમાં ફેકચર જેવી ઇજાઓ પહોચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી જી.કે.જનરલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના ડોક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. પધ્ધર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે સૌરભ રામસિંગ તોમરે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.