27 સપ્ટે.થી પાટણ જિલ્લામાં મહેસુલી કર્મીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું


જુની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા સહિતના મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો નિરાકરણ ન આવતા પાટણ જિલ્લામાં 27 સપ્ટેમ્બરથી તમામ 300થી વધુ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે અને તેની પાટણ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને જાણ પણ કરી દેવાઈ છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નોને અનુસંધાને સમગ્ર રાજ્યમાં સરકાર સમક્ષ સરકારી કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે. તે આંદોલનના ભાગરૂપે મહેસુલી કર્મચારીઓ 19 સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરી જતા કચેરીઓ સુમસામ બની હતી છતાં તેમના પ્રશ્નોનો નિરાકરણ આવ્યો નથી. ત્યારે આગામી 27 સપ્ટેમ્બરથી પાટણ જિલ્લામાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ અને પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ, સમી શંખેશ્વર, રાધનપુર અને વારાહી સહિતની મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારો, ક્લાર્ક અને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા રેવન્યુ તલાટીઓ સહિત 300થી વધુ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આ અંગે પાટણ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને જાણ કરાઈ છે.
જિલ્લા મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ 27 સપ્ટેમ્બરથી મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી રહ્યા છે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ પર રહેશે.