પાંજરાપોળ-ગૌશાળાને સહાય ન અપાય ત્યાં સુધી સરકાર કે પાર્ટીનો કાર્યક્રમ નહીં કરવા અલ્ટીમેટમ અપાયું


વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી છે. પરંતુ બીજી તરફ સરકારે ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડની જોગવાઈ કર્યા પછી તેનો અમલ ન કરતા ગૌશાળા પાંજરાપોળના સંચાલકો અને ગૌ ભક્તો દ્વારા સરકાર સામે આંદોલનની ભૂમિકા શરૂ કરાઈ છે. જેમાં ગૌવંશ છુટા મુક્યા પછી હવે ગૌમાતા અધિકાર અભિયાનના નેજા હેઠળ ભાજપના પદાધિકારીઓને પત્ર મોકલી સરકાર કે ભાજપને કાર્યક્રમો ન કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. છતાં કાર્યક્રમ કરાશે તો ગૌભક્તો વિરોધ કરવા મેદાને આવશે તેવી ચીમકી પણ ઉચ્ચેરાઈ છે.
ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો અને ગૌભક્તોએ ભાજપ સંગઠનના હોદ્દેદારોને પત્રો મોકલાવી જણાવ્યું છે કે સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડની સહાયની જોગવાઈ કરવા છતાં આજ સુધી તેનો અમલ નથી કર્યો રાજ્યની ગૌશાળા પાંજરાપોળોની હાલત દયનીય બની છે. સંસ્થામાં ગૌવંશનો નિભાવ ઘણો જ મુશ્કેલ થયો છે ના છૂટકે સરકારના હવાલે કરવાની ફરજ પડી છે ત્યારે સરકાર દ્વારા સત્વરે યોજનાની અમલવારી નહી થાય ત્યાં સુધી સરકારના કે પાર્ટીના કોઈ જ પ્રોગ્રામ કરવા નહીં છતાં કરાશે તો ગૌભક્તો દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે. ત્યારે ગૌમાતા પોષણ યોજનાનો તાકીદે અમલ કરવા માંગ કરી છે.
પ્રાણી કલ્યાણ બોર્ડના સદસ્ય અને ખલીપુર પાંજરાપોળના માનદ મંત્રી ધીરુભાઈ શાહે જણાવ્યું કે આ પત્ર પાટણના ભાજપના સંગઠનના હોદ્દેદારો, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, જિલ્લા પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ, રમેશ સિંધવ, સાંસદ ભરતસિંહ ડાભીને મોકલવામાં આવ્યો છે