રાધનપુરમાં છાત્રાલયના રસોઈયાની પત્ની પર 4 ઇસમો દ્વારા  હુમલો કરાયો

રાધનપુર શહેરમાં એસટી સ્ટેન્ડથી ભાભર ત્રણ રસ્તા જવાના માર્ગ ઉપર આવેલ સંસ્કૃતિ મંદિર છાત્રાલયમાં રસોયા તરીકે ફરજ બજાવતા અશોક શ્રીમાળી કામ માટે બહાર ગયા હતા. આ દરમ્યાન તેમના પત્નિ ઉપર ગૃહપતિ, ચોકીદાર અને બે મહિલાઓએ હુમલો કરીને માર મારતાં રસોયાની પત્નિએ ચારેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

સંસ્કૃતિ મંદિર છાત્રાલયના રસોયા અશોકભાઈ શ્રીમાળી કામ માટે બહારગામ ગયા હતા. તેમને રસોઈમાં મદદ કરતી પત્નિ મીનાબેન રસોઈ કરતા હતા એ સમય દરમ્યાન એક વિદ્યાર્થીએ મીનાબેન પાસે નાસ્તો માંગ્યો હતો, ત્યારે મીનાબેને કહ્યું કે ગૃહપતિ કહેશે ત્યારે નાસ્તો મળશે. એ જ વેળાએ ગૃહપતિ દિલીપ ગાંડાભાઈ તૂરી આવેલા અને મીનાબેનને કહેલ કે નાસ્તો ના બનાવવો હોય તો બહાર નીકળી જાઓ. બોલાચાલી પછી ગૃહપતિએ મારવાનું શરુ કર્યુ હતું. ચોકીદાર કીર્તિભાઇ પણ આવી ગયા હતા અને મીનાબેનને ધોકાથી માર મારવા માંડ્યા હતા.

ચોકીદારના પત્નિ કંચનબેન અને ગૃહપતિના પત્નિ લક્ષ્મીબેન પણ આવી ગયા હતા અને મીનાબેનને વાળ પકડીને નીચે પાડી દઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને ગળું દબાવીને નોકરી ઉપરથી કાઢી મુકવાની ધમકીઓ આપી. મીનાબેનના પુત્ર અને પુત્રીએ આવીને છોડાવ્યા તો બંને બાળકોને બેઠો માર વાગ્યો હતો. મીનાબેને છાત્રાલયના ગૃહપતિ દિલીપભાઈ ગાંડાભાઈ તૂરી, ચોકીદાર કીર્તિભાઇ, કંચનબેન કીર્તિભાઇ અને લક્ષ્મીબેન દિલીપભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.