બેકારીથી કંટાળી ડિંડોલીના યુવકે ટ્રેન સામે સૂઈ જઈ જીવન ટૂંકાવ્યું

ડિંડોલીના 31 વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવ્યું. પોલીસથી મળેલી વિગતો અનુસાર ગોડાદરના આ યુવક લાંબા સમયથી બેરોજગાર હતો અને તેને કોઈ કામ મળતું ન હોવાથી તેણે આ પગલું ભરી લીધું હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડિંડોલી મહાદેવનગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજભાઈ ચિંધાભાઈ પાટીલ કડિયા કામ કરી પત્ની, બે પુત્ર સહિત પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. શનિવારે સાંજના સમયે પંકજ પાટીલે ઘરેથી નીકળી ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવેના ટ્રેક પર સૂઈ જઈ જીવન ટૂંકાવી લીધું હતું.

પંકજ પાટીલના આપઘાત કર્યાના ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પંકજભાઈને દારૂ અને જુગારની કુટેવ હતી, તેમજ કામ મળતું ન હોવાથી માનસિક તણાવમાં પણ હતા. જેથી પંકજ પાટીલને કામ ના મળવાથી તેણે ટ્રેન આવી જઈ આ પગલું ભરી લીધું હોવાની પોલીસે સંભાવના વ્યક્ત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.