મીરજાપર પાસેથી ચોરાઉ ચોખા સાથે બે ઇસમો ઝડપાયા

copy image

ભુજ નજીકના મીરજાપર હાઇવે પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો જીપમાં શંકાસ્પદ ચોરાઉ 2,985 કિલો જે ચોખાની કિંમત રૂપિયા 44,775 ભરીને અબડાસા તાલુકાના કોઠારા ગામેથી આવતા બે ઇસમોને ઝડપી પાડીને તેમના કબજામાંથી દોઢ લાખની જીપ અને બે મોબાઇલ સહિત 2,04,775 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ભુજ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ LCB ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે અબડાસાના કોઠારા બાજુથી બોલેરો જીપમાં આધાર પુરાવા વિનાની ચોખાની બોરી ભરીને આવતા ઓસમાણગની ઇસ્માઇલ ઉર્ફે મામદ મેમણ (ઉ.વ.33) રહે. કાદુવાણી મસ્જીદ પાસે કોઠારા, અને ઔવેશ લીયાકતઅલી સોતા (ઉ.વ.22) રહે. જી.ટી.હાઇસ્કુલ પાછળવાળાને પકડી પાડ્યા હતા. તેમના કબજામાં રહેલી જીપમાં તપાસ કરતાં 2,985 કિલો ચોખાની બોરીઓ મળી આવી હતી. આધારપુરાવા વિનાના ચોખાનો જથ્થો તેમજ જીપ અને બે મોબાઇલ સાથે બન્નેની અટકાયત કરી હતી.

આરોપીઓ સસ્તા અનાજની દુકાનોમાંથી થોડો થોડો માલ ભેગો કરીને ભુજના વેપારીઓને વેચવા નીકળ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું LCB PI એ જણાવ્યું હતું. બન્ને ઇસમોને આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ મથકે મુદામાલ સાથે સોંપ્યા હતા. નોંધનીય છે કે, કચ્છમાં અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બનેલા છે. જેમાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજની ચોરી થઇ હોય. પરંતુ આવા બનાવમાં કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાતું નથી. આવા બનાવમાં પોલીસની સાથે પુરવઠા વિભાગે પણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. જેથી લાભાર્થીઓને સસ્તા અનાજનો પૂરતો જથ્થો મળી શકે.