રાજવી ક્રોસીંગ પર રેલવેની હદમાં કામ ચાલુ ..પણ ઓવરબ્રિજનો નકશો ના-પાસ


ગાંધીધામના એક તરફના આખા પટ્ટાનો વિકાસ માત્ર રેલવે ક્રોસીંગના કારણે એક સ્તર સુધીજ થઈ શક્યો છે ત્યારે રાજવી ફાટક પર રેલવે ઓવરબ્રીજ નિર્માણનો પ્રોજેક્ટ પાસ થયાને વર્ષો થયા છતાં હજી મંજુરી પ્રક્રિયાઓમાંથી પ્રોજેક્ટ વાસ્તવિક ધરાતલ પર ઉતરી નથી રહ્યો. હજારો લોકો આ ફાટક પર રોજ હેરાન થાય છે, એક વાર તો ફાટકને તોડવા સુધીનો પ્રયાસ પરેશાન અને રોષે ભરાયેલા લોકોએ કરેલો, પણ હાલ માત્ર રેલવે વિભાગ તેની હદનું કાર્ય પુર્ણ કરી રહ્યુ, આરએન્ડબીના નકશાને તો હજી સુધી આખરી ઓપ પણ મળી શક્યો નથી.
ગાંધીધામ થી વરસામેડી, અંજાર તરફના પટ્ટામાં જવા માટેના મુખ્ય માર્ગમાં આવે છે રાજવી રેલવે ક્રોસીંગ. જ્યાંથી રોજ અંદાજે 100 જેટલી ટ્રેન પસાર થતી હોવાથી દર થોડી મીનિટોમાં અને દિવસભર વારંવાર બંધ થતું રહે છે. જેના કારણે દર કલાકે વાહનોની ટ્રાફિક જામ જોવા મળે છે, ટ્રાફીક પોલીસ અને ટ્રાફિક બ્રીગેડના જવાનોને પણ સતત થતા ટ્રાફિક જામને હેંડલ કરવા સતત તૈનાત રહેવું પડે છે. નિયમો અનુસાર રેલવે તેના પાટાઓ અને તેની ઉપરનો મુખ્ય હાઈટેડ બ્રીજ પોતેજ નિર્માણ કરે છે, ત્યારબાદ બન્ને તરફના રોડબ્રીજનું નિર્માણ આરએન્ડબી દ્વારા કરાશે.
હાલ રેલવે દ્વારા તેના ભાગનું કામ શરૂ કરી દીધાને મહિનાઓ થઈ ગયા છે, થોડા સમયમાં તે કાર્ય પૂર્ણ પણ થઈ શકે તેમ તેની ગતી જોઇને લાગી રહ્યું છે ત્યારે તેની આસપાસના મુખ્ય રોડ કઈ દિશામાં જશે તેનોજ નકશો આરએન્ડબી પાસે હજી તૈયાર નથી અને પાસ પણ નથી થયો. આરએન્ડબીના સતાવાર સુત્રોએ જણાવ્યું કે એક તરફ શૈક્ષણિક સંકુલ અને બીજી તરફ BSF કેમ્પ હોવાથી ડીઝાઈન કઈ રીતે કરવી તે અંગેની સંભાવનાઓ તલાશવામાં આવી રહ્યા છે.
રાજકીય આગેવાનો, ધારાસભ્યના મંતવ્યો, સુજાવો લેવામાં આવ્યા છે, પણ હજી સુધી નકશો ફાઈનલ કે પાસ નથી થઈ શક્યો. એક તરફ રેલવે દ્વારા તેના હિસ્સાનું કામ શરૂ કરી દીધુ છે, તો આ કાર્યનો બીજો ભાગ જેમણે કરવાનો છે, તેની ડીઝાઈન પણ હજી તૈયાર નથી ત્યારે વર્ષો સુધી જેમ ભુજોડીનો એક પટ્ટો બનીને પડ્યો રહ્યો હતો તેવા હાલ આ રાજવી રેલવે ઓવરબ્રીજના તો નહી થાય ને? તેવી ચર્ચા અને ભય લોકમુખે ચર્ચાનો મુદો બન્યો છે.
અંજારની હદમાં આવતા પણ આદિપુરની લગોલગ આવેલા એવા મેઘપર બોરીચી વિસ્તારને આદિપુર સાથે જોડવામાં વચ્ચે આવતી એક રેલવે ક્રોસીંગથી હજારો લોકો રોજબરોજ ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લોકોમાં લાંબા સમયથી ઉકળતા રોષને “હવે તો ખાતમુહુર્ત થવાનું જ છે’ કહીને આગેવાનોએ શાંત કર્યો હતો પરંતુ ગત મહિને વડાપ્રધાનના હસ્તે અઢળક પ્રોજેક્ટો સાથે લીલાશાહ કુટીયા ફાટક પર અંડરબ્રીજના કાર્યનું પણ વર્ચ્યુલ ખાતમુહુર્ત કરાયાના આટલા સમય બાદ પણ હજી સુધી ઓન ગ્રાઉન્ડ કામ શરૂ જ ન થયું હોવાનું જાણવા મળે છે, જેના કારણે ફરી લોકોમાં રોષની લાગણી જન્મી છે.