પાણીના ભરાવા વચ્ચે ગોલ્ડન સિટીના રહેવાસીઓ કફોડી સ્થિતિમાં


આદિપુરની ભાગોળે આવેલો ગોલ્ડન સિટી વિસ્તાર ભૂકંપ બાદના સમયમાં સ્થાપિત થયેલ છે. પરંતુ વર્ષો બાદ પણ અહી સારા રસ્તા અને ગટર વ્યવસ્થાનો અભાવ છે ત્યારે ગત 2 વર્ષોથી સમગ્ર વિસ્તારમાં પાણીનો વ્યાપક ભરાવો થઈ ગયો છે. ઠેરઠેર પાણીના ભરાવા વચ્ચે લોકો રોગચાળાની દહેશત વચ્ચે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. વિવિધ સમસ્યાઓ વચ્ચે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં સતત રજૂઆતો બાદ લોકો હવે આ વિસ્તારને ગાંધીધામ નગરપાલિકામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.
ગોલ્ડન સિટી વિસ્તાર આમ તો આદિપુર સાથે જ જોડાયેલો છે, પરંતુ તેનો સમાવેશ અંજાર તાલુકામાં આવેલાં મેઘપર કુંભારડી ગામમાં થતો હોવાને કારણે લોકોનો મરો થઈ ગયો છે. વર્ષોથી ગોલ્ડન સિટી તથા ત્યાં આવેલી ભક્તિનગર – 1, 2 અને 3, સિદ્ધેશ્વર પાર્ક જેવી વિવિધ કોલોનીઓમાં માત્ર 1 કે 2 વરસાદમાં જ ખખડી જાય તેવા માર્ગો બનાવવામાં આવ્યા છે. તો તાજેતરના વરસાદ બાદ ભરાયેલા ગંદા પાણીના દ્રશ્યો અહી સામાન્ય થઈ ગયા છે. અહીંના કેન્દ્ર સમા શોપિંગ કોમ્પલેક્ષના સામે જ નાના તળાવ જેવો પાણીનો ભરાવો છે. હાલ રોગચાળાની સ્થિતિ છે ત્યારે સાફસફાઈની શૂન્ય કામગીરી વચ્ચે ભરાયેલા પાણી લોકોનો ભય વધારી રહ્યા છે.
અહીંના અગ્રણી નેહલભાઈ અંસારીના કહ્યાનુસાર,, તાલુકા પંચાયત તથા સરકારના વિવિધ વિભાગો સંબધિત એટિવિટીની ગ્રાન્ટ અંજાર તાલુકાના અન્ય ગામની સરખામણીમાં અહીં નજીવી ફાળવવામાં આવે છે. અને એ નજીવી ગ્રાન્ટ માંથી પણ લોકો ઉપયોગી કામો થતા નથી તે ગ્રામપંચાયતની કામગીરી દર્શાવે છે. અગાઉ તાલુકા પંચાયતમાં સતત રજૂઆતો કરવામાં આવ્યા બાદ પણ ગોલ્ડન સિટીમાં કરવામાં આવતી કામગીરી શૂન્ય છે.
આ વિસ્તારના અન્ય અગ્રણીઓના જણાવ્યાનુસાર, કોઈ કારણસર સોનલધામ સોસાયટીને અહી સાથે જોડતા રસ્તાનું લેવલીંગ ઊંચું રાખવામાં આવતા ગોલ્ડન સિટી માંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી આટલું જ નહીં કેટલાક માર્ગો બાવળની ઝાડી થી ઘેરાઈ ગયા હોવાથી ભરાયેલો પાણી અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. આ સ્થિતિમાં ગાંધીધામ પાલિકામાં ગોલ્ડન સીટીનો સમાવેશ જ એક વિકલ્પ છે તેવું લોકો કહી રહ્યા છે.