ચંદન ચોરી પ્રકરણમાં ધારીના સરસિયા, કરમદડીના 4 ઇસમની અટક કરાઇ


ખાંભાના ભાણીયા ગામ નજીકથી થોડા દિવસ પહેલા વનતંત્રએ ચંદન ચોરી પ્રકરણમા કારમા જઇ રહેલા 4 રાજસ્થાની ઇસમોને પકડી લીધા પછી જંગલમા ચંદન કટીંગ મામલામા સ્થાનિક 4 ઇસમોની સંડોવણી ખુલતા તેમની પણ અટકાયત કરાઇ છે. રાજસ્થાની ચંદન ચોર ગેંગની સાથે ધારી તાલુકાના સરસીયા ગામના જયકરણ ભીખુ મહેતા, લાલજી વિઠ્ઠલ માનપરા અને કિશોર મકન મહેતા તથા કરમદડી ગામના સાગર વિરજી પાટડીયા નામના ઈસમની સંડોવણી બહાર આવતા વનતંત્ર દ્વારા ચારેયની અટક કરવામાં આવી છે.
આ ઇસમોએ તારીખ 21/8ના રોજ ગીદરડી વિસ્તારમાથી એક તથા 31/8ના રોજ ભાણીયાના જંગલમાથી ચાર મળી કુલ 5 ચંદનના વૃક્ષો કાપ્યા અને લાલજી માનપરાની વાડીમા વૃક્ષોને છોલી ચંદન અલગ કરવામાં આવ્યું હતુ. આ ચંદન નડીયાદના ચકલાસી ગામના ફરીદ ચાવડા નામના ઈસમને વેચવામાં આવ્યું હતુ. જયકિરણ મહેતાના ઘરમાથી તંત્રએ 200 કિલો ચંદન જપ્ત લીધુ હતુ. ડીએફઓ રાજદીપસિંહ ઝાલાની સુચનાથી આરએફઓ કે.કે.મેમકીયા તથા પોલીસની ટીમે ફરીદ ચાવડાના ઘરે પણ દરાડો પાડ્યો હતો. જો કે તે ભાગી છૂટ્યો હતો. આમ આ ચંદન ચોરી પ્રકરણમા કુલ નવ ઇસમોની સંડોવણી ખુલી છે. તંત્રએ બે કાર, એક બાઇક, સાત મોબાઇલ, ચંદનની 32 કિલો છાલ વિગેરે વસ્તુ પણ જપ્ત કરી છે.