કનૈયાબે – જવાહરનગર રોડ પર કોંગ્રેસે વિરોધ કરી રસ્તો કર્યો ચક્કાજામ, પોલીસ દ્વારા કરાઇ અટકાયતો

copy image

ભુજ તાલુકાના કનૈયાબે – જવાહરનગર રોડના કામનું ખાતમુહૂર્ત ન આવતા કોંગ્રેસ આગેવાનોએ પૂર્વે આપેલા અલ્ટિમેટમ પછી મંગળવારે રસ્તો બંધ કરી વિરોધ કર્યો હતો. ચક્કાજામને લીધે રસ્તા પર ટ્રાફિક સર્જાયો હતો. વિરોધને પગલે કોંગ્રેસી આગેવાનોની પધ્ધર પોલીસે ધરપકડ કરી હતી.

આહીરપટ્ટીમાં આવેલા કનૈયાબે થી જવાહરનગર સુધીના રોડનું 10 મહિના અગાઉ ધારાસભ્ય વાસણભાઈ આહીર દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. તાકીદે ઝડપી અને ગુણવત્તા યુક્ત કામગીરી કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. જોકે આર.એન.બી અને કોન્ટ્રાક્ટરની મનમાનીને લીધે કામ પૂર્ણ કરવાનો સમય વીતવા છતાં કામ શરૂ કરવામાં આવ્યું નથી.

કનૈયાબે, શારદાનગર, ડગાળા, મોખાણા, મોડસર, જવાહરનગર, ધરમપર સહિતના ગામોને છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાને લીધે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે તંત્રની કોન્ટ્રાકટરને છાવરતી નીતિ જોઈ કોંગ્રેસના આગેવાનોએ આર.એન.બી વિભાગને 10 દિવસના અલ્ટીમેટમ સાથે કામ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

પરંતુ આજ દિવસ સુધી રસ્તાનું કામ ચાલુ ન થતા અંતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા શારદાનગર પાસેના જર્જરિત પુલ પર રસ્તો બંધ કરી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જો કે, રસ્તો બંધ કર્યાની ગણતરીની મિનિટોમાં પધ્ધર પોલીસે સ્થળ પર પહોંચી આવી વિરોધ કરી રહેલા કોંગ્રેસી આગેવાન ત્રિકમભાઈ આહીર અને હરેશ આહીર સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી હતી.