ચોટીલા નજીક અકસ્માત: કારની અડફેટે તળાજાના યુવાનનું કમકમાટીભર્યું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-બામણબોર રોડ પર કોઈ કારની ટક્કરે તળાજાના યુવકનું તેના માતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃતદેહનું પીએમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.આ અંગે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરના તળાજાનો વતની અને હાલ મોરબીમાં લાદીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પાર્થ નરેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.વ.40)નામનો યુવાન તેમના માતા ભાવનાબેન સાથે ઢુવા ચોકડી પાસે દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન માતા થોડે દૂર થેલો લેવા ગયા  અને પુત્ર પાર્થ રસ્તા પર હતો, ત્યારે પુર પાટે આવી રહેલી કારે અડફેટે લેતા તેઓને ઘવાયેલી હાલતમાં સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગંભીર રીતે ઇજા પામેલા પાર્થનું સારવારમાં મોત થયું હતું. પાર્થ એક ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. પાર્થ ઘરનો આધાર સ્થંભ હતો. માતાની નજર સામે જ પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ વળ્યું છે. આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા.