કોલવડાનાં ઇન્દિરાનગર રોડ પર રીક્ષાની અડફેટે આવી જતાં સાયકલ સવાર કિશોરનું મોત


ગાંધીનગરનાં કોલવડાનાં ઇન્દિરાનગર રોડ ઉપર આજે સવારના કુદરતી હાજતે જવા સાયકલ લઈને નીકળેલા બાર વર્ષના કિશોરનું રીક્ષાની અડફેટે આવી જતાં કરૂણ મોત નિપજ્યું છે. આ વિશે પેથાપુર પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તેની માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરનાં કોલવડા મધ્યે રહેતો બાર વર્ષીય અવિનાશ નટવરલાલ દંતાણીનાં પરિવારમાં માતા તેમજ બે બહેનો અને એક ભાઈ છે. અવિનાશનાં પિતાનું પણ અવસાન થયું છે. જ્યારે અવિનાશ ધોરણ 8 સુધી ભણેલો હતો. જેણે છ મહિના પહેલા અભ્યાસ છોડી દીધો હતો અને તેની માતાને આર્થિક મદદરૂપ થવા માટે છૂટક ઘરકામ કરતો હતો.
આજે સવારે અવિનાશ કુદરતી હાજત કરવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો ત્યારે કોલવડાનાં ઇન્દિરાનગર આવાસ પાસેના રોડ ઉપર એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પૂર ઝડપે બેદરકારીથી હંકારીને સાયકલને અડફેટે લીધી હતી. જેનાં લીધે અવિનાશ ઉછળીને રોડ ઉપર પટકાયો હતો.
આ અકસ્માત થતાં આસપાસના વસાહતીઓ દોડી પહોચી આવ્યા હતા. અને અવિનાશને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અવિનાશને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાના પગલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી રીક્ષા ચાલકની અટક કરવાં માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.