નખત્રાણામાં આવેલ શીતળા માતાજીના મંદિરમાંથી દાનની રકમની ચોરી


નખત્રાણા જુનાવાસમા આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરમાં ગત રાત્રે દાનપેટી તોડી ચોર રોકડની ચોરી કરી હતી. મંદિરના પૂજારી હિતેશપુરી ગોસ્વામી વહેલી સવારે નિજ મંદિર પહોંચ્યા ત્યારે ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે હજુ સુધી બહાર નથી આવ્યું.
નગરના શીતળા માતાજીના મંદિર અંદર રહેલી દાનપેટી અને આરતીની ચોરી કરાઇ છે. તો બહાર પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટર લઈ જવાનો પ્રયાશ પણ કરવામાં આવ્યૂ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરે આ સિવાય નજીકના ઘર બહાર દરવાજામાં લટકાવેલી લસણ ભરેલી થેલી પણ ઉઠાવી ગયા હતા. આ દરમ્યાન ઘરધણી જાગી જતા ચોર રાત્રીના અંધકારમાં છૂમંતર થઈ ગયા હતા. અલબત્ત નખત્રાણા અને કચ્છમાં હાલમાં એક પછી એક ચોરીની ઘટના બહાર આવી રહી છે. ત્યારે પોલીસ તંત્ર વધુ સજાગ બનો તેવી લોક માંગ ઉઠી છે.