ડાકોર – કપડવંજ રોડ પર દાજીપુરા નજીક પશુને બચાવવા જતા અંબાજી જતી એસ.ટી બસ પલ્ટી જતાં 4 લોકો ઘાયલ


ડાકોર – કપડવંજ રોડ પર દાજીપુરા નજીક ઝઘડીયાથી અંબાજી જતી એસ.ટી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. રોડ પર અચનાક પશુ આવી જતા તેને બચાવવા જતાં બસ રોડની સાઈડના ખાડામાં પલટી ખાઇ ગઇ. આ ઘટનામા 4 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે. જોકે, બસમા સવાર 45 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
આસો માસની નવરાત્રિમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી જઈ રહ્યા છે. કોઈક ખાનગી વાહનોથી તો કોઈક સરકારી બસમાં સવાર થઈને અહીયા માતાના દરબારમાં જય રહ્યા છે. ત્યારે બુધવારે ઝઘડીયાથી અંબાજી જતી એસટી બસ નંબર (GJ 18 Z 8297)એ ડાકોર – કપડવંજ રોડ પર દાજીપુરા પાસેથી પસાર થટી હતી આ દરમિયાન એકાએક રોડ ઉપર ભેંસ આદિ આવી જતાં એસટી બસના ચાલકે આ પશુને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને બસ રોડની સાઈડની કાંસમા પલ્ટી પડી હતી.
આ બનાવમાં બસમાં સવાર 45 મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી. પરંતુ તે 4 જેટલા મુસાફરોને શરીરે સામાન્ય ઈજઓ થતાં 108 એમ્બ્યુલન્સ વડે તમામને લસુન્દ્રાના સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. આ બસની પાછળ અન્ય અંબાજી જતી બસ આવતાં ઉપરોક્ત બસના તમામ મુસાફરોને સહી સલામત આ બસમાં બેસાડી રવાના કરવામાં આવ્યા છે. રોડ, હાઈવે પર આવા રખડતાં પશુઓ અંગે કાર્યવાહી કરવામાં સ્થાનિક તંત્ર ઊંડું ઉતરે તેવી લોક માંગ ઉઠી છે.