કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા એકમનુ દૂષિત પાણી નદીમાં છોડાયું હોવાના આક્ષેપ,દીવાલ તૂટી


લખપત તાલુકાના પાનધ્રો મધ્યે આવેલા કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા એકમનું દૂષિત પાણી ગામની નદીમાં છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતા તંત્રમાં પણ દોડધામ મચી છે.આ અંગે ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને ફરિયાદ કરાઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે, કેએલટીપીએસ પ્લાન્ટ દ્વારા તેમના પાણીના સંગ્રહ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાઇ છે,પરંતુ આ વર્ષે લખપત તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાના કારણે ઠેકઠેકાણે પાણીના સ્તરમાં વધારો થયો છે. નદીમાં વહેતા પાણીને જોઈને સ્થાનિકોને મનમાં આશા બંધાઈ હતી કે,આ પાણી પશુઓને અને ખેતીમાં પણ કામ આવશે. જોકે, સોમવારે સાંજે કંપનીમાંથી પાણી છોડાતા નદીમા પાણી ભળી ગયું અને તેના લીધે દીવાલ પણ તૂટી ગઈ.
ગ્રામ પંચાયત દ્વારા એવી રજુઆત કરાઈ હતી કે એલટીપીએસ દ્વારા પાંધ્રોની મોટી નદી તથા આજુબાજુની જમીન દુષીત કરી દેવામાં આવી છે અને નદીમાં કેમીકલવાળું પાણી છોડવાથી પાકને નુકશાન થયું છે અને જો આ મુદાને ગંભીરતાથી નહિ લેવામાં આવે તો ખેડૂત અને પશુપાલકોને હિજરત કરવી પડશે તેવો ભય વ્યક્ત કરાયો છે.
ગ્રામ પંચાયતની રજૂઆત અન્વયે બુધવાર સવારે સર્કલ ઓફિસરને મોકલીને તપાસ કરાવતા કંપની દ્વારા વરસાદી પાણી છોડવામાં આવ્યું હોવાની વાત રજૂ કરાઈ છે.જેથી હવે જીપીસીબીને જાણ કરી આ પાણીનું પીએચ લેવલ ચેક કરાશે.જેથી આ પાણી પ્રદુષિત છે કે કેમ ? તે ખ્યાલ આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે. પાર્થ જયસ્વાલ, મામલતદાર લખપત
વરસાદી પાણીની સંગ્રહ સપાટી વધી ગઈ હોવાટી તે છોડવામાં આવ્યું હતું અને જે દીવાલ તૂટી ગઈ છે તે જૂની હોવાથી પડી ગઈ હતી,કંપનીની દીવાલ હોવાથી નવી બનાવાશે.રહી તે વરસાદી પાણી છે, કંપનીનું દૂષિત પાણી નથી. પણ આસપાસમાં લિગ્નાઇટની ખાણો આવેલી હોવાથી તેની ડસ્ટ અને જમીન કાળી હોવાના લીધે વરસાદનું ડોળું પાણી કાળું થઈ ગયું હશે. આ અંગે તાલુકા મેજિસ્ટ્રેટને પણ અહેવાલ આપવામાં આવ્યો છે. ડી.એચ.વસાવા, ચીફ એન્જીનીયર,KLTPS