મુન્દ્રાથી નિકળેલું 43.40 લાખનું બેઝ ઓઇલ ચાલકે કર્યું સગેવગે


મુન્દ્રા સીડબલ્યુસીસીએફએસ થી નિકળી ગાંધીધામ થઇ ઝારખંડ લઇ જવાતા રૂ.43.40 લાખનું બેઝ ઓઇલ નિયત જગ્યાએ ન પહોંચાડી ટ્રક ચાલકે સગેવગે કર્યું હોવાની ફરિયાદ લોજિસ્ટિક કંપનીના સંચાલકે બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાવી છે.
ગળપાદર મીલીટ્રી ગેટ સામે રાજવીનગરમાં રહેતા અને મીઠીરોહર પાસે જે.આર.લોજિસ્ટિકના નામથી ટ્રાન્સપોર્ટ કંપની ધરાવતા ભરતભાઇ જોષીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની કંપનીને સુરતની ઓન ટ્રેડિંગ કંપનીએ મુન્દ્રા સીડબલ્યુસીસીએફએસ મધ્યેથી ઝારખંડના ધનબાદ ખાતે લક્ષ્મી શાંતિ એસોશિયેટ મધ્યે બેઝ ઓઇલ મોકલવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
તેમની કંપનીનો ચાલક નેતારામ વિષ્નારામ મુન્દ્રાથી રૂ.43,40,592 ની કિંમતનું 38.170 ટન બે ઓઇલ ભરી મીઠીરોહરથી તા.13/9 ના નિકળ્યા બાદ તા.16/9 ના ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તેમણે રૂ.43.40 લાખનું બેઝ ઓઇલ નિયત સ્થળે ન પહોંચાડી ચાલકે સગેવગે કર્યું હોવાની તથા તપાસમાં જે નિકળે તેના સામે ફરિયાદ નોંધાવી હતી. વિશ્વાસઘાતના આ બનાવમાં પીએસઆઇ એસ.ડી.બારીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મુન્દ્રાથી બેઝ ઓઇલ ભરી મીઠીરોહર પાસે આવેલી લોજિસ્ટિક કંપનીનું ટ્રેઇલર ઝારખંડ જવા નિકળ્યા પછી નજિર્ધારિત સમયે ન પહોંચતાં ટ્રાન્સપોર્ટ કંપનીએ ચાલકનો સંપર્ક સાધ્યો પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારપછી ફરિયાદી જાતે તપાસમાં ગયા તો તેમની કંપનીનું ટ્રેઇલર જયપુર-આગ્રા રોડ પર ખાડામાં બિનવારસુ હાલતમાં મળ્યું અને તેમાંથી બેઝ ઓઇલ પણ કાઢી લેવાયું હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.
મીઠીરોહરથી બેઝઓઇલ ભરેલું ટ્રેઇલર રવાના થયા પછી જીપીએસ સિસ્ટમ દ્વારા આ વાહન નિયત રૂટ પર જઇ રહ્યું હતું પરંતુ ટોલ ટેક્સ કપાતો ન હોવાને લીધે શંકા જતાં ચાલકનો ટેલિફોનિક
સંપર્ક કરવાના પ્રયત્ન કરાયા હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું હતું.