રાણીપમાં ઘરમાંથી 7 લાખની મતાની તસ્કરી

ન્યૂ રાણીપમાં રહેતા સિવિલ હોસ્પિટલના નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટના ઘરમાંથી ચોર રોકડ અને દાગીના મળીને કુલ રૂ.7.53 લાખની મતાની ચોરી કરી ગયા હતા. પરિવારના સભ્યો 3 દિવસ માટે સોમનાથ, દ્વારકા અને હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન ચોર ઘરના દરવાજાના નકૂચા તોડીને અંદર ઘૂસીને તિજોરીમાંથી રોકડ ઉપરાંત ઘરેણાં ચોરી ગયા હતા. ન્યૂ રાણીપના આનંદ પાર્ટી પ્લોટની સામે આવેલી ન્યૂ દેવભૂમિ સોસાયટીમાં રહેતા પ્રભુદાસ વજેશંકરભાઈ જોશી (68) સિવિલ હોસ્પિટલમાં ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરતા હતા, પરંતુ 2007માં તેમણે વીઆરએસ લીધું, ત્યાર બાદ પ્રભુદાસ નિવૃત્ત જીવન વિતાવે છે અને પત્ની ભારતી બહેન, પુત્ર, પુત્રવધૂ અને તેમના 2 સંતાન સાથે રહે છ

25 સપ્ટેમ્બરે પ્રભુદાસ પરિવારના સભ્યો સાથે સોમનાથ, દ્વારકા અને હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા હતા. પ્રવાસ પૂર્ણ કરીને તેઓ પરત આવ્યા અને જોયું તો ઘરના દરવાજા તૂટેલા હતા. આ બાદ પરિવારે ઘરની અંદર તપાસ કરતા જાણ પડી કે તિજોરીના લોક પણ તૂટેલા ઉપરાંત સામાન વેર વિખેર હાલતમાં પડયો હતો. તિજોરીમાંથી રોકડા રૂ.30 હજાર તેમજ સોના – ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 7.53 લાખન ચોરી થઇ હતી. જેથી આ બાબતે પ્રભુદાસએ તરત જ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ઘરમાં થયેલી ચોરી વિશે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ચોરને શોધવા માટે તપાસ હાથ ધરી છે.