સાયણમાં રેલવેના સ્ટેશન માસ્ટરના બંધ ફ્લેટમાંથી 3.55 લાખની તસ્કરી


સાયણમાં રહેતા ગોથાણ રેલવે સ્ટેશન માસ્ટરના બંધ ફ્લેટમાંથી ચોરે રૂ.3,55,425 મતાની તસ્કરી કરી ગયા હતા. ઓલપાડ તાલુકાના સાયણમાં આવેલી ઓમ નગર સોસાયટીના વિભુ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેક મહેતા હાલ ગોથાણ રેલવે સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરે છે. જયારે છેલ્લા બે મહિનાથી તેની પત્ની પિયર ગયેલ હોવાથી સ્ટેશન માસ્તર જયારે નોકરીના ફરજ ઉપર હોય ત્યારે ફ્લેટ બંધ રહેતો.તેઓ રાત્રે 10 થી તા.24 ના રોજ સવારે 8.00 કલાકના સમયગાળા દરમ્યાન કીમ રેલવે સ્ટેશન મધ્યે ફરજ ઉપર હોવાથી તેમનો ફ્લેટ બંધ હતો.
જેનો લાભ લઈ અજાણ્યા ત્રણ ચોર તેમના ફ્લેટને નિશાન બનાવ્યો. આ ચોર ફ્લેટના રૂમના દરવાજાને મારેલ તાળુ તોડી, રૂમમાં પ્રવેશ કરી બેડ રૂમમાં મુકેલ કબાટ તોડી લાલ રંગની થેલીમાં મુકેલ 75.47 ગ્રામ વજનના સોનાના જુદા-જુદા ઘરેણાં ,જેની કિં.રૂ.3,21,651 અને 194.67 ચાંદીના દાગીના, જેની કિં.રૂ.11,388 તથા એક હિરાની વીંટી, જેની કિં.રૂ. 22,386 એમ મળી કુલ રૂપિયા 3,55,425 મત્તા સહિત જરૂરી દસ્તાવેજી પુરાવાઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ અંગે અભિષેક મેહતાને રૂમના માલિકે જાણ કરી હતી. જેથી તપાસ કરતા તસ્કરી થયાનું જણાતા તેમણે તેની પત્ની પાસેથી દાગીનાના બીલો મેળવી ચોરીની ઘટનાના CCTV કેમેરાની ફૂટેજ સાથે ઓલપાડ પોલીસ મથકમાં બુધવાર,તા.28 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે ત્રણ અજાણ્યા ચોર વિરૂધ્ધ રૂપિયા 3,55,425 મત્તાની ચોરીનો ગુનો દાખલ કરાયો છે.