રાણપરમાં સાળાએ કુહાડીના ઘા ઝીંકી બનેવીનું મોત નિપજાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપરમાં સાળાએ બુધવારે સાંજે કોઇ કારણોસર ઉશ્કેરાઇને કુહાડીના જોરદાર ઘા ઝીંકીને બનેવીની હત્યા નિપજાવ્યાનો બનાવ બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે તરત ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો લઈને તેને પીએમ માટે ભાણવડના સરકારી દવાખાને ખસેડવા તજવિજ હાથ ધરી છે. જયારે પ્રાથમિક તબકકે કોઇ પારીવારીક કારણ હોવાનુ અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં પોલીસે બંને સાળા સામે હત્યાનો ગુનો નોંધવા માટે તજવિજ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામમાં રહેતા પોલાભાઇ રાજાભાઇ સાદીયા નામના આઘેડ પર બુધવારે સાંજે કોઇ કારણોસર ઉશ્કેરાયેલા તેના સાળાઓએ કુહાડી વડે હુમલો કર્યો હતો.જેમાં કુહાડીના આડેધડ ધા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં જ પોલાભાઇ સ્થળ પર ઢળી પડયા અને તેઓનુ મોત નીપજયું. હત્યાના આ બનાવના પગલે દોડધામ મચી હતી.

આ બનાવની જાણ થતા પીએસઆઇ પી.ડી. વાંદા અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ માટે ભાણવડની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

જયારે ભોગગ્રસ્તના પરીજનોના નિવેદન સાથે વિધિવત ફરીયાદ નોંધવા માટે તજવિજ હાથ ધરવામાં આવી છે. હુમલાખોર આરોપીઓના નામ ગોવિંદ નથુભાઇ ખરા અને અરવિંદ નથુભાઇ ખરા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે.બીજી બાજુ નાના એવા ગામમાં સાળાઓના હાથે બનેવીની હત્યાના આ બનાવે ભારે ચકચાર મચાવી છે.ઘટના પાછળ કોઇ પારીવારીક કારણ હોવાની સંભાવના દર્શાવી પોલીસે તપાસ હાથ ધરી છે.