4 મકાનોમાંથી ચોરી કરનાર 3 સગીર સહિત 4 ચોરો પકડાયા

copy image

પશ્ચિમ કચ્છમાં ઘડાધડ ચોરીઓના બનાવો વધી રહ્યા છે. તે વચ્ચે ભુજમાં તબીબ સહિત ચાર મકાનોમાં ચોરીઓનો ભેદ ઉકેલવામાં માધાપર પોલીસને સફળતા મળી છે. ચાર-ચાર સ્થળે ચોરીને અંજામ આપનારા ત્રણ સગીર સહિત ચાર જણને પોલીસે દબોચી લીધા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કેઇ ભુજના બે અને એક માધાપરના ભંગારનાવાડાઓના સંચાલકોના નામ ખુલતાં તમામને ઝડપી લીધા. પકડાયેલા ઇસમો પૈકી એક યુવકને કોર્ટના આદેશથી પાલારા જેલમાં (જ્યુડીશીયલ કસ્ટડીમાં) ધકેલી દેવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર નવાવાસમાં વિશ્વકર્મા ગુજ્જર ટ્રસ્ટની સમાજવાડીમાંથી 4,300ની કિંમતના વાસણોની ચોરી, તેમજ ભુજોડી પાસેના વર્ધમાનનગરમાં આવેલી હોસ્પિટલમાં 15 હજારની ઓકસીજનની લાઇનો, સ્ટીલના નળ, વાલ્વ અને કેબલની ચોરી કરનાર ભુજના સુરલભીટ રોડ પરની સંજયનગરીમાં રહેતા ત્રણ સગીરો અને ભુજ-માધાપર હાઇવે પર વાસપોડા ઝુંપડ પટ્ટીમાં રહેતા મહેશગર ઉર્ફે કાલો પ્રેમગર ગોસ્વામી (ઉ.વ.29) નામના ઈસમ સહિત ચાર જણાઓને માધાપર પોલીસે ઝડપી પુછતાછ કરતાં આરોપીઓએ માધાપરની આ બે ચોરી ઉપરાંત એ ડિવિઝન પોલીસની હદમાં આવતા જયનગર પાટીયા પાસે આવેલી ખાલી બિલ્ડીંગના ફ્લેટોના બારીના કાચ તોડી અંદરથી પીતળના નળ તેમજ ફુવારાઓની ચોરી કરી તેમજ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ આનંદ કોલોનીમાં રહેતા તબીબના ઘરમાંથી ચોરી કરી હોવાની પોલીસને કબુલાત આપી હતી.

 આ ચોરીનો માલ ભુજના રાવલવાડી રિલોકેશન ખાતે રહેતા અને ભંગારનો ધંધો કરતા મનોજ હિરાલાલ ઠકકર (ઉ.વ. 34), તેમજ ભુજના કેમ્પ એરિયામાં રહેતા અને ભંગારનો ધંધો કરતા સતાર મામદ થેબા (ઉ.વ.28) તથા માધાપરના જુનાવાસમાં સોની સમાજવાડી પાછળ સથવારાવાસમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા રાજુ જયરામ સથવારા (ઉ.વ.25 )ને આપ્યો હોવાની કબૂલાત આપતાં ભંગારનાવાડાના સંચાલકોને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ રીકવર કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. જ્યારે પકડાયેલા આરોપી મહેશગરને કોર્ટના આદેશથી પાલારા જેલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.