નિરોણા ગામની હાઇસ્કુલ અને કુમાર શાળામાં કોઇ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી

copy image

કેન્દ્રીય મંત્રિ સ્મૃતિ ઇરાનીએ જે ગામને આદર્શ ગામના રૂપમાં દત્તક લીધું છે તેવા નિરોણા ગામની હાઇસ્કુલ અને કુમાર શાળામાં કોઇ અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી છે. આદર્શ ગામ યોજનાની ગ્રાન્ટમાંથી ગામમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવાથી સરપંચ દ્વારા આ કેમેરા ચાલુ કરવા અને આ ઘટનામાં જવાબદાર સામે પગલા ભરવા પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરમાં આવેલી શાળાઓમાં કોઇ અજાણ્યા ઇસમોએ પાણીની લાઇનો, નળ, વોશબેસિન, દરવાજાને તોડી નાખ્યા હતાં.

ઉપરાંત શાળાના પ્રાંગણમાં આવેલા વૃક્ષોને પણ તોડી નખાયા હતાં. 50થી વધારે છોડના કુંડાઓમાં નુકસાન કરવામાં આવ્યું હતું.આ ઘટનાની જાણ થતા ગામમાં રોષ ફેલાયો હતો. સરપંચે પોલીસને જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા ચાલુ કરાવવાનો ખર્ચ 80 હજાર ઉપર છે. ગામ પાસે આટલુ સ્વભંડોળ નથી તેથી ગામના આગેવાનો અને વિવિધ સમાજના સહયોગથી ભંડોળ ભેગુ કરી પોલીસને સહયોગ આપીએ છીએ. તેથી હવે ગૃહ વિભાગની કોઇ ગ્રાન્ટમાંથી આ સીસીટીવી કેમેરા મરંમત કરાવવા વિનંતી કરવામાં આવી હતી.

નિરોણાના પોલીસ મથકની બાજુમાં આવેલી શાળાઓમાં જ અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી છે. ત્યારે એક વાત એ પણ સામે આવી છે કે હાલ નિરોણા પોલીસ મથકનો મોટાભાગનો સ્ટાફ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીના બંદોબસ્તમાં ગયો છે. જેના કારણે અસામાજીક તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું હતું.