દાંતીવાડાના ડેરી ગામના યુવકની પથ્થર -ધોકા મારી કરાઇ કરપીણ હત્યા


દાંતીવાડાના ડેરી ગામમાં રાત્રે ખેતરે જઈ રહેલા યુવકની અજાણ્યા ઇસમોએ માથામાં પથ્થર અને ધોકા મારી હત્યા કરી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાંતીવાડા તાલુકાના ડેરી ગામના ગણેશાજી પાંચાજી રબારી (ઉ.વ.35) બુધવારના મોડી રાત્રે ઘરેથી ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. જેમની રસ્તામાં કોઈ અજાણ્યા સખ્શે માથા અને કાનના ભાગમાં પથ્થર તેમજ લાકડાના ધોકાના ઘા મારી કરપીણ હત્યા નિપજાવી હતી.
ગણેશાજીના બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થતિ થઈ છે. હત્યાના પગલે દાંતીવાડા પોલીસ સ્ટેશનના ઈન.પી.એસ.આઇ સ્નેહિત દેસાઈ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પાંથાવાડા મધ્યે પી.એમ માટે ખસેડી ડોગ સ્કવોડ અને એફ.એસ.એલની મદદ લઈ અજાણ્યા હત્યારાને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે.