અમદાવાદના નારોલમાં મજૂરીના પૈસા માગનારા યુવકને છરીના ઘા મારી હત્યા નિપજાવી


નારોલમાં મજૂરીના પૈસા માંગનાર યુવક સાથે ત્રણ સખ્શોએ ઝઘડો કરી છરીના ઘા મારીને મોત નિપજાવી હતી. આ અંગે નારોલ પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નારોલમાં રહેતા અને મૂળ સાબરકાંઠાના વતની નવઘણ પરમારના મોટા ભાઈ ઈશ્વરના ઘરે પ્રતીક સોલંકી નામનો યુવક આવ્યો હતો, અને તેણે કહ્યું કે, નવઘણને નરેશ પરમાર, સુરેશ પરમાર તથા સંજય પમાર સાથે ઝઘડો થયો છે. જેમાં સંજયે નવઘણને પકડ્યો અને સુરેશે તેને છરીના ઘા માર્યા છે. જેથી નવઘણ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો છે. જે સાંભળીને ઈશ્વરભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે સામે આવ્યું છે કે નવઘણ નરેશ પરમાર અને તેના ભાઈ સુરેશ પરમાર પાસે મજૂરીના પૈસા માગતો હતો, તે મામલે ઝઘડો થયો હતો. જેથી સુરેશ, નરેશ અને સંજયે નવઘણ પર હુમલો કરી હત્યા નિપજાવી હતી.