તામિલનાડુથી ભારત પ્રવાસે નીકળેલ વૃદ્ધાની  અક્ષરધામ મંદિર પાસેથી દોઢ લાખના દોરાની લૂંટ કરી બે સખ્શ ફરાર

ભારત પ્રવાસે નીકળેલ તામિલનાડુની 61 વર્ષના વૃદ્ધાને સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર બહાર યાત્રાળુઓથી ભરચક રહેતાં રોડ પર બાઈક પરથી ઉતરીને એક ચેઈન સ્નેચર વૃદ્ધાનાં ગળામાંથી રૂ. 1.50 લાખની કિંમતનો ત્રણ તોલાનો દોરો લૂંટી લઈ દોડીને પાછો બાઈક પર બેસીને સાગરિત સાથે છૂમંતર થઈ ગયો હોવાની ફરિયાદ સેકટર 21 પોલીસ મથકના ચોપડે દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પરના આતંકી હુમલા બાદ અહીંનાં વિસ્તાર ની ચારેય દિશાઓ સીસીટીવીથી સજ્જ કરીને સઘન પેટ્રોલિંગ કરાઉ હોય છે.તેમ છતાં ગઈકાલે સાંજના સમયે અક્ષરધામ મંદિરના વીઆઇપી પાર્કિંગ સામેના રોડ પરથી સોનાના દોરાની લૂંટનો બનાવ બન્યો છે. તામીલનાડુનાં એચ.કે. પુસ્વામી સ્ટ્રીટ, સ્ટુઅર્ટપેટ, એરાકોન્નમ, વેલ્લોર મધ્યે રહેતાં સરસ્વતી કે.આર. વ્યંકટેશ્વર ગત તા. 22 મી સપ્ટેમ્બરે ધરતી ટ્રાવેલ્સની બે બસોમાં સિત્તેર જેટલા પ્રવાસીઓ તામીલનાડુથી ભારતના પ્રવાસ માટે નીકળ્યા હતા.

ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ ગાંધીનગર અક્ષરધામ મંદીર મધ્યે આવ્યા હતા. બાદમાં ટ્રાવેલ્સની બસ અક્ષરધામ મંદીરના પાર્કીંગમાં પાર્ક કરીને બધા પ્રવાસીઓ અક્ષરધામ મંદીરમાં દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં દર્શન કરી મંદીરની બહાર નીકળી બધા પાર્કીંગ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સરસ્વતીબેન સાથે ડી.મહાપ્રિયા તથા એન.સાબીથા તથા ડી.કોકીલા પણ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા.

આ દરમ્યાન વી.આઇ.પી. પાકીંગના ગેટ સામે રોડ ઉપર બાઇક ઉપર બે સખ્શો આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલ સખ્શ બાઇક ઉપરથી ઉતરી સરસ્વતીબેન પાસે ગયો અને અચાનક તેમના ગળામાં પહેરેલ અંદાજિત ત્રણ તોલા વજનનો સુતળીભાતની ડિઝાઈનનો સોનાના દોરાની ચીલઝડપ કરીને દોડીને બાઈક ઉપર બેસી ગયો. બાદમાં બંને લૂંટારૃ બાઈક ઉપર પૂરપાટ ઝડપે પલાયન થઈ ગયા હતા.

આ ઘટનાના પગલે વૃધ્ધા સહિતના યાત્રાળુ ઓ ડરી ગયા અને બુમાબુમ કરી મુકી હતી.  જોતજોતામાં તો ચેઇન સ્નેચરો બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે યાત્રાળુઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો. વૃધ્ધાએ ફરિયાદ આપતાં સેકટર – 21 પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.