ભરૂચથી દહેજ તરફ જતાં રસ્તા બિસ્માર હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનીકોએ કર્યો ચક્કાજામ


ભરુચથી દહેજ તરફ જવાના રસ્તા પર આજે વહેલી સવારે કેશરોલ ટોલ ટેક્ષ નાકા નજીક વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના કારણે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યું હતું.
આજે વહેલી સવારના સમયે ભરૂચ થી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા નજીક બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનનો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપરાંત સ્થાનીક રહીશો એકત્ર થયા હતા. દહેજ જીઆઇડીસીની વિવિધ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પાછા આવતા અને પ્રથમ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો ઉપરાંત વિવિધ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કાજામ કાર્યક્રમમાં જોડાયા.
કેશરોલ અને આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા વાહનોની લાઈનો લાગી ગઇ હતી. ભરૂચ ગ્રામ્ય પોલીસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી હતી. થોડા કલાકો માટે અફરાતફરીનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો. આ ચક્કાજામના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના રેગ્યુલર શિડ્યુલ ખોરવાયો હતો.