ભરૂચના ખાદ્ય તેલના વેપારી ઉપર અજાણ્યા સખ્શોએ ચપ્પુ વડે હુમલો કર્યો


ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા સખ્શોએ ચપ્પુ વડે હુમલો કર્યો જેથી ચકચાર મચી જવા પામી છે. વેપારીને ઈજા થતાં તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર બાબતે વેપારીએ પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ દાખલ કરાવી હતી.
ભરૂચના સીંધુ નગર મધ્યે રહેતા 27 વર્ષીય મોહિત ભોજવાની ધોળીકુઈ વિસ્તારમાં ખાદ્ય તેલનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ 28મી સપ્ટેમ્બરના રોજ મોબાઈલની ડિસ્પેની ખરીદી કરવા માટે અમરદીપ કોમ્પ્લેક્ષમાં ગયા હતા. તે સમયે બે અજાણ્યા સખ્શો તેઓ પાસે આવ્યાં અને વેપારી કઈ સમજે તે પહેલા ચપ્પુ કાઢી વેપારીના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા જે બાદ હુમલાખોરો પલાયન થઈ ગયા હતા.
વેપારીને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. ઘટના વિશે વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ દાખલ કરાવી છે. વેપારી પર ગત તારીખ-31 ઓગસ્ટના રોજ પણ નર્મદા માર્કેટ મધ્યે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આવા ગંભીર ગુનામાં સઘન તપાસ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.