આરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે બુધવારે કરવામાં આવતી મમતા ડોઝની કામગીરી ખોરવાઈ

આંગણવાડી અને સરકારી દવાખાનાઓમાં બુધવારે મમતા દિવસ યોજાય છે. જેમાં સગર્ભા માતાઓ અને નવજાત બાળકોની તપાસ સાથે વજન અને રસીકરણ કરાય છે.ઉપરાંત પોષણમાં વધારો થાય તે માટેના પ્રયત્નો થાય છે.કચ્છ જેવા સરહદી વિસ્તારમાં અબડાસા,લખપત,વાગડ,ખાવડા સહિતના વિસ્તારોમાં માતા મૃત્યુદર અને કુપોષણનું પ્રમાણ વધારે છે ત્યારે આ યોજનાઓ અસરકારક સાબિત થતી હોય છે પણ છેલ્લા બે માસથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે આ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો અને જોઈએ તેટલા ડોઝ આપી નથી શકાયા ઉપરાંત જો નિયત તારીખે ડોઝ કે દવાઓ ન મળે તો તેની અસરકારકતા નથી રહેતી.પછી માત્ર લષ્યાંક જ મળે છે. હવે હડતાળ સમેટાઈ ગઈ છે ત્યારે આ રૂટિન ગાડી પાટા પર આવતા સમય લાગશે.

માતા અને બાળકને આરોગ્‍યની બધી સેવાઓ મળી રહે તે માટે મમતા દિનની ઉજવણી કરવામાં આવે છે.જે મુજબ પ્રા.આ.કેન્‍દ્ર/સા.આ.કેન્‍દ્ર કક્ષાએ સોમવારે તથા સબસેન્‍ટર કક્ષાએ અને અન્‍ય ગામોએ નકકી કરેલ સ્‍થળે અને સમયે બુધવારના દિવસે આરોગ્‍ય વિષયક કામગીરી કરાય છે.

જેમાં સગર્ભા માતાને ધનુર વિરોધી રસી અપવામાં આવે છે તેમજ ધાત્રી માતાની તપાસ,0 થી 5 વર્ષ સુધીનાં તમામ બાળકોને રસીકરણ અને વૃધ્‍ધિ વિકાસ અંગેના ચાર્ટ બનાવાય છે.કિશોરી શકિતની બહેનોને કાઉન્‍સેલીંગ દ્વારા આરોગ્‍ય વિષયક જાણકારી આપવામાં આવે છે.સગર્ભા માતાની હિમોગ્‍લોબીન તપાસ, બી.પી., યુરીન તપાસ હાઇરીસ્‍ક માતા તપાસ અને સારવાર કરવામાં આવે છે.મમતા દિવસે માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍ય સબંધી તમામ તપાસ તેમજ સારવાર અપાય તો માતા મરણદર અને બાળ મરણદરને અટકાવવામાં સફળતા મળી રહે છે.

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે જિલ્લામાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર તથા આઉટસોર્સિંગ કર્મચારીઓ અને અન્ય સ્ટાફ મળી 800 કર્મચારીઓ ઉપલબ્ધ હતા જેઓની મદદ વડે મમતા દિવસની કામગીરી કરાઈ હતી.