ઠાકોરજીની વાડીમાં બજરંગદળના કાર્યકરોએ બે વિધર્મી ગાર્ડને મારમાર્યા


ઠાકોરજી વાડીમાં ગરબામાં સિક્યુરિટી ગાર્ડ સાથે બજરંગદળના કાર્યકરોની સોમવારે મોડીરાતે માથાકૂટ થઈ હતી. જેને પગલે ખટોદરા પોલીસના જવાનો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગરબા પણ 1 કલાક માટે બંધ કરાયા હતા. જો કે, આયોજકે પોલિસ ફરિયાદ ન આપી સમાધાન કરી લીધું હતું.
ખટોદરા પોલીસના PSI એ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા કૈવલસિંહનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેમણે લખાવ્યું કે સોમવારે રાત્રીના 10.30 વાગ્યે ઠાકોરજીની વાડીમાં 10 થી 12 ઈસમો લાકડાના ફટકા લઈ ચાલુ ગરબામાં ધૂસી આવી સિક્યુરિટીના 2 ગાર્ડને ઘેરી લઈ માર માર્યો હતો. તેમજ કોમ્પ્યુટર અને ખુરશીઓ તોડી નાખી હતી. બંન્ને ગાર્ડ લોહી લુહાણ થતા હોસ્પિટલ ખસેડ્યા હતા. બહારથી આવેલા શખ્સો પૈકી અભિષેક, દેવીપ્રસાદ, બંટી, રાજેન્દ્ર, શિવમ, કમલેશ અને અમિત સહિત 12 જણા સામેલ હતા.
પછી આ બાબતે અંદરોઅંદર સમાધાન થયું હતું. વળી ઈજા પામનારે પણ કોઈ ફરિયાદ આપી ન હતી. બીજી એવી પણ ચર્ચાઓ ચાલી છે કે કેટલાક તત્વોને આયોજકે ગરબાના પાસ ન આપતા બબાલ કરી હતી. આ ઉપરાંત બજરંગદળના દક્ષિણ ગુજરાત સુરક્ષા પ્રમુખ દેવી પ્રસાદે જણાવ્યું હતું કે, પાસની વાત ઉપજાવી કાઢેલી છે. આ વાત તદ્દન ખોટી છે. અમારા કાર્યકરો 3 દિવસથી આયોજકોને સમજાવતા હતા. છતાં વિધર્મી બ્રાઉન્સરોને રાખ્યા હતા.