માણસાના લીંબોદરા ગામમાં ખેતરમાં જવા બાબતે 2 પરિવાર વચ્ચે મારામારી

માણસા તાલુકાના લીંબોદરા ગામમાં મોડી સાંજે સીમમાં મંદિરે દર્શન માટે ગયેલા બે પરિવાર વચ્ચે ખેતરમાં જવાના રસ્તા મુદ્દે બોલા ચાલી થતા ચાર સખ્શોએ ભેગા મળી પિતા પુત્રને લાકડી અને ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. મોડી રાત્રે સામા પક્ષના પણ લોકો મારામારી કરવા હુમલાખોરોના ઘરે પહોંચી અપશબ્દો બોલ્યા જે અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદ દાખલ કરી માણસા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લીંબોદરા ગામમાં આવેલા દાદાભાના માઢમાં રહેતા વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ વાઘેલા અને તેમના પિતા અને કાકા મોડી સાંજે ખેતરના મંદિરે નૈવેધ અને દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પાછા આવતી વેળાએ તેમને રસ્તામાં ગામમાં જ રહેતા ભરતસિંહ રતનસિંહ વાઘેલા, દશરથસિંહ રતનસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા અને જશવંતસિંહ બબાજી વાઘેલા સામે મળ્યા ત્યારે આ ચારે લોકોએ તમે અમારો ખેતરમાં જવાનો રસ્તો કેમ બંધ કર્યો છે તેવું પૂછતા વિરેન્દ્રસિંહ તેમજ તેમના પિતાએ જણાવ્યું હતું કે તમારા ઢોર અમારા ખેતરમાં બગાડ કરે છે તેથી રસ્તો બંધ કર્યો છે તેવું જણાવતા આ ચારેય લોકો ઉશ્કેરાઈને માર માર્યો હતો.